Banaskantha Mali Samaj : બનાસકાંઠા જિલ્લામાં હત્યા કેસના આરોપી લાલો ઉર્ફે ભાર્ગવ મંડોરાને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના મામલે માળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માહિતી મુજબ, એક કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
'કાયદાની પ્રક્રિયા મુજબ જ કાર્યવાહી થવી જોઈએ'
આ ઘટનાને કાયદાની વિરુદ્ધ ગણાવી માળી સમાજમાં તીવ્ર લાગણી ફેલાઈ છે. સમાજના કેટલાક લોકોનું કહેવું છે કે આરોપી હોય તો પણ તેને કાયદાની પ્રક્રિયા મુજબ જ કાર્યવાહી થવી જોઈએ, જાહેરમાં માર મારવો યોગ્ય નથી.
પોલીસ વિરુદ્ધ માળી સમાજમાં ભારે આક્રોશ
આ ઘટનાના વિરોધમાં માળી સમાજ દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન પોલીસ વિરુદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ન્યાયની માંગ ઉઠાવવામાં આવી. માળી સમાજની આ રેલી અંતે એસપી કચેરી સુધી પહોંચી, જ્યાં સમાજના આગેવાનો અને લોકોએ એકત્રિત થઈને ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. આરોપીને જાહેરમાં બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને પોલીસ વિરુદ્ધ માળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.





















