Bharuch Crime News : ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવેપારની ફરિયાદો વધતી જતી સ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં ચાલતા રોઝ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે.
અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર
છ યુવતીઓને મુક્ત કરવામાં આવી છે, જેમને માનવતાના અભિગમ સાથે મુક્ત કરાવવામાં આવ્યા. દરોડામાં સ્પાના મેનેજર વાસુ વકતારામને અટકાયત કરવામાં આવી છે, જ્યારે સ્પાની મહિલા સંચાલક અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. સ્થળ પરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત કુલ રૂ. 11,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ડમી ગ્રાહક મોકલી રેડ પાડી હતી
મળતી માહિતી પ્રમાણે, ભરૂચ AHTU પીઆઈ ભાવના મહેરીયાને રોઝ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બાતમી મળી હતી. પ્રથમ તબક્કામાં ડમી ગ્રાહક મોકલ્યા બાદ ગેરકાયદેસર વ્યવહારની પુષ્ટિ થતા પોલીસની ટીમે અચાનક દરોડો પાડ્યો. આ કેસમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તપાસ હેઠળ દેહવેપાર સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને નેટવર્ક અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સમાજમાં ફેલાતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સમર્થન માટે જાહેરને પણ સચેત રહેવા માટે અપીલ કરી છે.





















