રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રશિયન પ્રેસિડેન્ટના માનમાં એક ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે પુતિનના સમર્થનની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષો જૂની આ મિત્રતા આવનારા સમયમાં વધુ મજબૂત બનશે.
વ્લાદિમિર પુતિન જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ત્યારે તેમનું ઔપચારિક રીતે વેલકમ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા યોજવામાં આવેલા આ ડિનર ડિપ્લોમસીની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ કાર્યક્રમ પહેલા પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં પુતિનની વિઝિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પીએમ મોદી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર વાત કરતા જોવા મળ્યા હતા.
જોકે આ હાઈ પ્રોફાઈલ ડિનરને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. આ ડિનર માટે વિપક્ષના નેતાને આમંત્રણ ન આપવામાં આવતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના લીડર સંદીપ દીક્ષિતે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શશિ થરૂરને અવારનવાર આમંત્રણ આપવામાં આવે છે અને ત્યાં જવું કે નહીં તે તેમની મરજી પર નિર્ભર છે. પરંતુ વિપક્ષના નેતાને આમંત્રણ ન આપવું તે મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.





















