ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આજે રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ Antonio Costa અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ Ursula von der Leyen સાથે પરંપરાગત બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલામી મંચ (Saluting Dais) પર આ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ વર્ષે ભારતની પ્રજાસત્તાક પરેડમાં બે વિદેશી મહાનુભાવો એકસાથે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હોય તેવી આ દુર્લભ અને ગૌરવશાળી ક્ષણ છે. તેમની આ મુલાકાત ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મજબૂત થતા વ્યૂહાત્મક સંબંધોનું પ્રતિક માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિના આગમન બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સ્વદેશી 105 mm Light Field Guns દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ વર્ષની ઉજવણી 'વંદે માતરમ'ના 150 વર્ષ અને 'વિકસિત ભારત'ના સંકલ્પ પર કેન્દ્રિત છે. યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓની હાજરીમાં આયોજિત આ ભવ્ય પરેડમાં ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાની અદભૂત ઝાંખી રજૂ કરવામાં આવી હતી.





















