વર્તમાન સમયમાં જેને લોકો પ્રેમ માની રહ્યા છે તે વાસ્તવમાં માત્ર આકર્ષણ અને અંગત જરૂરિયાતો સંતોષવાનું સાધન બની ગયું છે. વિખ્યાત આધ્યાત્મિક સંત પ્રેમાનંદ મહારાજે આજના સંબંધો પાછળ રહેલા દંભ અને સ્વાર્થનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે આજના યુગમાં પ્રેમની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમના મતે આજના મોટાભાગના સંબંધો પ્રેમ પર નહીં પરંતુ પરસ્પરની ઈચ્છાઓ અને શારીરિક આકર્ષણ પર ટકેલા છે.
જરૂરિયાત પૂરી કરવી તે પ્રેમ નથી પ્રેમાનંદ મહારાજે પ્રવચનમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે 'હું તમને પ્રેમ કરું છું', ત્યારે તેની પાછળની છુપી ભાવના એવી હોય છે કે 'તમે મારી જરૂરિયાતો પૂરી કરો'. જ્યારે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે સામેની વ્યક્તિ આપણી લાગણીઓ અને આપણી મરજી મુજબ ચાલે, ત્યારે તે પ્રેમ નથી પણ માત્ર મોહ અને આસક્તિ છે. આ પ્રકારના સંબંધોમાં ભક્તિ કે સમર્પણ હોતું નથી.
નિઃસ્વાર્થ ભાવ જ સાચો પ્રેમ મહારાજશ્રીના જણાવ્યા મુજબ સાચા પ્રેમમાં ક્યારેય કોઈ શરત હોતી નથી. પ્રેમનો સાચો અર્થ એ છે કે વ્યક્તિ સામેવાળાના સુખ માટે સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર હોય. જો કોઈ સંબંધમાં 'મારા માટે શું?' એવી ભાવના પ્રબળ બની જાય, તો તે સંબંધ પ્રેમનો નહીં પણ સોદાબાજીનો બની જાય છે. શાસ્ત્રોમાં આ પ્રકારની લાગણીને કામ કે રાગ તરીકે ઓળખાવવામાં આવી છે.
શારીરિક આકર્ષણ અને એકલતાનો ડર આજના સમયમાં શારીરિક આકર્ષણ અને એકલતા દૂર કરવાની જરૂરિયાતને પ્રેમનું નામ આપવામાં આવી રહ્યું છે. લોકો અનુકૂળતા મુજબના સાથને પ્રેમ માને છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે જે ભાવમાં પરમાત્માનો અંશ હોય અને જ્યાં કોઈ અપેક્ષા ન હોય, તેને જ ખરો પ્રેમ કહી શકાય. અપેક્ષા પૂરી ન થતા જ્યારે લોકો કહે છે કે 'પ્રેમ ઓછો થઈ ગયો', ત્યારે હકીકતમાં ત્યાં ક્યારેય પ્રેમ હતો જ નહીં, માત્ર સ્વાર્થ હતો.
સંબંધો તૂટવાનું મુખ્ય કારણ સંબંધોમાં વધતા જતા વિખવાદ પાછળનું કારણ સમજાવતા મહારાજે કહ્યું કે જ્યાં અધિકાર જમાવવાની વૃત્તિ, નિયંત્રણ કરવાની ભાવના અને ભય હોય ત્યાં પ્રેમ ટકી શકતો નથી. સાચો પ્રેમ માત્ર સમર્પણ અને ત્યાગમાંથી જન્મે છે. જે સંબંધમાં માત્ર માંગણીઓ હોય તે લાંબો સમય ચાલતો નથી. લોકોએ મોહ અને પ્રેમ વચ્ચેના ભેદને સમજવો અનિવાર્ય છે.




















