દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદરમાં રાજ્યકક્ષાના 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
"બાપુના પગલે તિરંગા ભારત"
79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવી છે. જ્યાં "બાપુના પગલે તિરંગા ભારત" થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં 150 કલાકાર દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું છે. સાથો સાથ ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ રૂપે પણ ઝલક રજૂ કરવામાં આવલી હતી.
સૌ નાગરિકોને શુભકામના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 79માં સ્વાતંત્ર્ય પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ''અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ - ક્રાંતિકારીઓના સમર્પણ તથા અસંખ્ય દેશવાસીઓના અવિરત સંઘર્ષથી આપણને આઝાદ ભારત મળ્યું છે. ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવનાર એ સૌ વીરોને કૃતજ્ઞતાસહ વંદન કરું છું. આપણી સામે 'વિકસિત ભારત'ના નિર્માણનું મહાન લક્ષ્ય છે. આવો, આપણે સૌ આ લક્ષ્યને સાકાર કરવા, અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા કૃતસંકલ્પ થઈએ. ભારતને સિદ્ધિના શિખરે લઈ જઈ સૌ સ્વાતંત્ર્ય વીરોને સાચી શ્રદ્ધાંજલિ આપીએ''.





















