77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત National War Memorial (રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક) ની મુલાકાત લીધી હતી. પ્રજાસત્તાક દિવસની પરેડ શરૂ થાય તે પૂર્વે વડાપ્રધાને દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચ્યા બાદ વડાપ્રધાને 'અમર ચક્ર' પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બે મિનિટનું મૌન પાળીને શહીદ વીરોને નમન કર્યા હતા. આ પરંપરા મુજબ, પ્રજાસત્તાક દિવસની પરેડની વિધિવત શરૂઆત કરતા પહેલા શહીદોનું સન્માન કરવામાં આવે છે, જે સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વ અને ભાવુક ક્ષણ હોય છે.
આ પ્રસંગે વડાપ્રધાને વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો, જેમાં તેમણે જવાનોની બહાદુરી અને અદમ્ય સાહસની પ્રશંસા કરી હતી. National War Memorial ખાતે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, વડાપ્રધાન કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજવંદન કરીને પરેડની સલામી ઝીલી હતી. દેશભરમાંથી આવેલા લોકોએ આ દ્રશ્ય નિહાળીને ભારતની સૈન્ય શક્તિ અને બલિદાનની પરંપરાને બિરદાવી હતી.





















