સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં બાકી વીજ બિલ વસૂલાત માટે PGVCL દ્વારા 25 ફેબ્રુઆરીએ મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. PGVCLની કુલ 2,700 ટીમો એકસાથે મેદાનમાં ઉતરી બાકીદારો સામે કાર્યવાહી કરશે. કંપનીના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાએ માહિતી આપી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં આશરે 28.68 લાખ ગ્રાહકોએ રૂપિયા 652.99 કરોડ જેટલું વીજ બિલ બાકી રાખ્યું છે.
5 લાખ વીજ ગ્રાહકોની ચુકવણી બાકી!
માહિતી મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધુ આશરે 5 લાખ વીજ ગ્રાહકો બાકીદારોમાં સામેલ છે. PGVCLના જણાવ્યા અનુસાર રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી, ત્રણે કેટેગરીના એવા ગ્રાહકો, જેઓએ લાંબા સમયથી વીજ બિલની ચુકવણી કરી નથી, તેમના વીજ કનેક્શન કાપવામાં આવશે.
લગભગ 650 કરોડ રૂપિયા રકમ બાકી
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે બાકી રકમ લગભગ 650 કરોડ રૂપિયા જેટલી છે અને આ રકમની વસૂલાત માટે જ આ વિશેષ અભિયાન યોજાયું છે. 25 ફેબ્રુઆરીએ 2,700 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી ચેકિંગ કરશે અને બાકીદારોના કનેક્શન તાત્કાલિક અસરથી કપાશે. PGVCL દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ તાત્કાલિક બાકી બિલની ચુકવણી કરે, નહીં તો કનેક્શન કપાઈ શકે છે. આ મેગા ડ્રાઇવથી કંપનીને મોટી રકમની વસૂલાતની આશા છે અને વીજ પુરવઠા વ્યવસ્થા વધુ સુચારૂ બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.




















