Patan Congress Office Lockdown : પાટણમાં આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના જ કાર્યકરોએ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. અનુસૂચિત જાતિના કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના કારણે આ તીવ્ર પગલું લેવામાં આવ્યું હતું. કાર્યકરોએ કોંગ્રેસના કેટલાક નેતાઓ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને પક્ષની અંદર પોતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ અનુસૂચિત જાતિના જિલ્લા અધ્યક્ષ મામલે આક્રાશ
આક્રોશનું મુખ્ય કારણ અનુસૂચિત જાતિના જિલ્લા અધ્યક્ષને પુનઃ નિમણૂક (રિપીટ) ન કરવામાં આવવાનું હોવાનું સામે આવ્યું છે. અનુસૂચિત જાતિના કાર્યકરોનું કહેવું છે કે તેમણે આ મુદ્દે અગાઉ કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓએ તેમની વાત ન સાંભળી હોવાનો આક્ષેપ કાર્યકરોએ કર્યો હતો.
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલનો કાર્યકરોને ટેકો
આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિના કાર્યકરો દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈપણ મોટા નેતા કે આગેવાન હાજર ન રહેતા કાર્યકરોમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો. પોતાનો અવાજ અવગણાયો હોવાનું અનુભવી રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. આ વિરોધ દરમિયાન અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓ સામે કડક શબ્દોમાં પ્રહાર કર્યા હતા. આ સાથે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ અનુસૂચિત જાતિ સમાજના કાર્યકરોને સમર્થન આપ્યું હતું અને તેમના પ્રશ્નોને ન્યાયસંગત ગણાવ્યા હતા.
'...કોંગ્રેસમાંથી ઘણાં રાજીનામાં પડે તો નવાઈ નહીં'
કિરીટ પટેલે કહ્યું કે, મારા કે, જિલ્લા પ્રમખોના સેન્સ લીધા વિના જ નિમણૂક કરવામાં આવી છે, ત્યારે આજે જિલ્લા અનુસૂચિત જાતિના કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે, જેના કારણે કોંગ્રેસમાંથી ઘણાં રાજીનામાં પડે તો નવાઈ નહીં. જરૂર પડશે તો હું વિધાનસભાના દંડક પદેથી પણ રાજીનામું આપી દઈશ'





















