પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે 'ઓપન વોર'માં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જ પાકિસ્તાનની સરહદની અંદર કરવામાં આવેલા હુમલાના વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાતના અંધારામાં પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો અને જોરદાર ધડાકા થયા. તાલિબાન શાસનનો દાવો છે કે આ હુમલામાં પાકિસ્તાનને ભારે જાનમાલનું નુકસાન થયું છે. આ ફૂટેજ એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનના કંધાર અને કાબુલ જેવા વિસ્તારોમાં ભીષણ એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો છે.
તાલિબાનનો દાવો: 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
અફઘાન તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેમના સૈન્ય દળોએ વળતો પ્રહાર કરતા 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. તેમણે જણાવ્યું કે અફઘાન સેનાએ પાકિસ્તાનની અંદર એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના હતા. જોકે, આ ફૂટેજ કઈ ચોક્કસ લોકેશનના છે તેની સત્તાવાર પુષ્ટિ કરવી મુશ્કેલ છે, પરંતુ સરહદ પર સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પાકિસ્તાન પર ઓવારણા: "તમારી પાસે મહાન નેતા છે"
જ્યારે આખા વિશ્વની નજર આ યુદ્ધ પર છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનો પક્ષ લીધો હોય તેવું જણાય છે. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "પાકિસ્તાન સાથે મારા સંબંધો ઘણા સારા છે. તમારી પાસે એક મહાન વડાપ્રધાન (શાહબાઝ શરીફ) અને એક મહાન જનરલ (આસિમ મુનીર) છે. આ બંને એવા લોકો છે જેમના માટે મને ઘણો આદર છે અને મને લાગે છે કે પાકિસ્તાન અત્યારે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે." ટ્રમ્પે આ વિવાદમાં મધ્યસ્થી કરવાની તૈયારી પણ દર્શાવી છે.
અમેરિકાએ આપ્યું પાકિસ્તાનના 'આત્મરક્ષાના અધિકાર'ને સમર્થન
અમેરિકાની રાજકીય મામલાઓની ઉપ વિદેશ મંત્રી એલિસન હૂકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી આમના બલૂચ સાથે વાતચીત કરી હતી. તેમણે આ સંઘર્ષમાં જીવ ગુમાવનારા પાકિસ્તાનીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકા તાલિબાનના હુમલાઓ સામે આત્મરક્ષા કરવાના પાકિસ્તાનના અધિકારનું સમર્થન કરે છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ યુદ્ધમાં અમેરિકા અત્યારે પાકિસ્તાનની પડખે ઊભું છે.
પાકિસ્તાનનો દાવો: 'ઓપન વોર'માં 270 તાલિબાનીઓ ઠાર
પાકિસ્તાની સેનાએ પણ અફઘાનિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા તેને 'ખુલ્લી જંગ' જાહેર કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમની એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 270 થી વધુ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 400 થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાને આ કાર્યવાહીને સરહદ પારથી થતા આતંકવાદી હુમલાઓનો જવાબ ગણાવ્યો છે.




















