Health News, Medical Research: વિજ્ઞાનની દુનિયામાં દરરોજ અવનવી શોધો થતી હોય છે, પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ માનવ શરીર વિશે જે ખુલાસો કર્યો છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. આપણે જેને સામાન્ય ગણીને થૂંકી નાખીએ છીએ, તે લાળમાં દુનિયાનું સૌથી શક્તિશાળી કુદરતી પેઈનકિલર છુપાયેલું છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે માનવીની લાળમાં 'ઓપિયોરફિન' (Opiorphin) નામનું એક તત્વ હોય છે, જે અસહ્ય પીડાને રોકવા માટે જાણીતી દવા 'મોર્ફિન' કરતા પણ 6 ગણું વધુ પ્રભાવશાળી છે.
સૌથી મહત્વની વાત એ છે કે, બજારમાં મળતી પેઈનકિલર દવાઓની ઘણી સાઈડ ઈફેક્ટ્સ હોય છે અને તેની આદત પડી જવાનો (નશો થવાનો) ડર રહે છે. પરંતુ કુદરતી રીતે આપણા શરીરમાં બનતું આ ઓપિયોરફિન કોઈપણ પ્રકારના નશા કે આડઅસર વગર કામ કરે છે. વૈજ્ઞાનિકો હવે આ કુદરતી પદાર્થની મદદથી એવી નવી પેઢીની દવાઓ બનાવવાની તૈયારી કરી રહ્યા છે, જે ગંભીર બીમારીઓના દુખાવામાં દર્દીઓને કોઈ પણ જોખમ વિના રાહત આપી શકશે.
શું છે આ 'ઓપિયોરફિન' અને તે કેવી રીતે કામ કરે છે?
ઓપિયોરફિન એ એક કુદરતી પ્રોટીન અણુ છે જે આપણી લાળમાં જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે આપણને ઈજા થાય છે, ત્યારે શરીર પોતે જ 'એન્કેફાલિન્સ' (Enkephalins) નામના કુદરતી રસાયણો પેદા કરે છે જે મગજ સુધી પહોંચતા દુખાવાના સંકેતોને રોકે છે. જોકે, આ રસાયણો શરીરમાં બહુ જલ્દી નાશ પામે છે, જેના કારણે આપણને લાંબો સમય દુખાવો અનુભવાય છે.
અહીં ઓપિયોરફિન જાદુઈ રીતે કામ કરે છે. તે આ 'એન્કેફાલિન્સ'ને શરીરમાં જલ્દી તૂટતા અટકાવે છે. પરિણામે, શરીરની પોતાની પીડા નિવારક શક્તિ લાંબા સમય સુધી કાર્યરત રહે છે. આ પ્રક્રિયા એટલી કુદરતી છે કે તેમાં મગજ પર સીધી નકારાત્મક અસર થતી નથી.
મોર્ફિન કરતા 6 ગણું શક્તિશાળી છતાં સંપૂર્ણ સુરક્ષિત
વૈજ્ઞાનિક પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે ઓપિયોરફિનની ખૂબ ઓછી માત્રા પણ મોર્ફિનના મોટા ડોઝ કરતા વધુ અસરકારક સાબિત થાય છે. મોર્ફિન જેવી દવાઓ લેવાથી શ્વાસ લેવામાં તકલીફ, કબજિયાત અને નશા જેવી આડઅસરો થાય છે, પરંતુ ઓપિયોરફિનમાં આવી કોઈ સમસ્યા નથી. તે માત્ર શરીરની આંતરિક પ્રણાલીને મજબૂત બનાવે છે.
દવાઓની દુનિયામાં આવશે મોટી ક્રાંતિ
વિશ્વભરના સંશોધકો હવે ઓપિયોરફિનની નકલ કરીને કૃત્રિમ દવાઓ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે લાખો લોકો પેઈનકિલરના નશાના શિકાર બની રહ્યા છે, ત્યારે ઓપિયોરફિન આધારિત દવાઓ મેડિકલ સાયન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. જો આ સંશોધન સફળ રહેશે, તો કેન્સર કે સર્જરી જેવા ગંભીર કિસ્સાઓમાં અપાતા હાનિકારક ઈન્જેક્શનની જરૂરિયાત પૂરી થઈ જશે.
કુદરતે આપણને આપ્યું છે અદભૂત સુરક્ષા ચક્ર
આ શોધ એ વાત સાબિત કરે છે કે ઉત્ક્રાંતિ દરમિયાન કુદરતે માનવ શરીરને તમામ પ્રકારની સુરક્ષા આપી છે. જ્યારે આપણે બોલીએ છીએ, ખોરાક ચબાવીએ છીએ કે પાણી પીએ છીએ, ત્યારે સતત થોડી માત્રામાં આ પદાર્થ આપણા શરીરમાં રિલીઝ થતો રહે છે. આપણા જ શરીરમાં છુપાયેલા આ શક્તિશાળી હથિયારો વિશે આપણે અત્યાર સુધી અજાણ હતા, પરંતુ હવે વિજ્ઞાન તેની મદદથી માનવજાતનું ભવિષ્ય બદલવા જઈ રહ્યું છે.





