Home Agriculture Onion Price Government Increases Buffer Stock Procurement Price

સરકારે ડુંગળી ખરીદીના ભાવ વધાર્યા : ખેડૂતોને મોટી રાહત, પણ ગ્રાહકો પર શું થશે અસર?

onion price, onion procurement, onion buffer stock
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 05:09 PM IST

ડુંગળીના ભાવ હંમેશા સામાન્ય લોકોના રસોડાના બજેટને અસર કરતા હોય છે. આવા સમયમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને વધુ યોગ્ય ભાવ મળે અને જરૂરિયાત સમયે બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે બફર સ્ટોક માટે ડુંગળી ખરીદવાનો ભાવ લગભગ 13 ટકા વધારીને પ્રતિ ક્વિન્ટલ ₹2,125 કર્યો છે. જોકે હાલ સામાન્ય ગ્રાહકો માટે ડુંગળીના છૂટક ભાવમાં તાત્કાલિક કોઈ મોટા ફેરફારની શક્યતા દેખાતી નથી.

કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ડુંગળીના ખરીદીના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ સરકાર પ્રતિ ક્વિન્ટલ ₹1,875ના ભાવે ખરીદી કરતી હતી, જે હવે વધારીને ₹2,125 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. નવી ખરીદી કિંમત 4 જુલાઈથી અમલમાં આવી ગઈ છે.

સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને વધુ સારો ભાવ આપવાનો છે તેમજ ભવિષ્યમાં બજારમાં ડુંગળીની અછત સર્જાય તો બફર સ્ટોક દ્વારા પુરવઠો જાળવી શકાય.

બજારમાં હાલ ડુંગળીની સ્થિતિ કેવી છે?

સરકારી અંદાજ મુજબ વર્ષ 2025-26 દરમિયાન દેશમાં આશરે 307.37 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થવાની સંભાવના છે, જે લગભગ ગયા વર્ષની સમકક્ષ છે. એટલે કે હાલમાં દેશમાં ડુંગળીની કોઈ મોટી અછત નથી.

દેશની વિવિધ કૃષિ બજારોમાં દરરોજ 50 હજાર ટનથી વધુ ડુંગળીની આવક થઈ રહી છે. જેમાં માત્ર મહારાષ્ટ્રમાંથી જ 30 હજાર ટનથી વધુ ડુંગળી બજારમાં પહોંચી રહી છે.

હાલમાં મંડીઓમાં ડુંગળીનો સરેરાશ ભાવ આશરે ₹18 પ્રતિ કિલો છે, જ્યારે છૂટક બજારમાં ગ્રાહકોને ડુંગળી સરેરાશ ₹31 પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.

આ સીઝનમાં કેટલી વખત વધારાયા ખરીદીના ભાવ?

સરકારે આ સીઝનમાં બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદી કિંમતમાં અનેક વખત વધારો કર્યો છે.

  • શરૂઆતમાં: ₹12.70 પ્રતિ કિલો

  • 22 મે: ₹15.80 પ્રતિ કિલો

  • 13 જૂન: ₹16.50 પ્રતિ કિલો

  • 20 જૂન: ₹17.30 પ્રતિ કિલો

  • ત્યારબાદ: ₹18.75 પ્રતિ કિલો

  • 4 જુલાઈથી: ₹21.25 પ્રતિ કિલો

આ રીતે ખેડૂતોને વધુ વળતર મળે તે માટે સરકાર સતત ખરીદીના ભાવમાં સુધારો કરી રહી છે.

ચોમાસું અને નિકાસ બજાર પણ કરશે અસર

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસામાં થયેલા વિલંબ અને કેટલાક વેપારીઓ દ્વારા સારી ગુણવત્તાની ડુંગળીનો સ્ટોક રોકી રાખવાના કારણે આગામી મહિનાઓમાં બજારની સ્થિતિ પર અસર પડી શકે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન જો પુરવઠો ઘટશે તો આ સ્ટોક બજારમાં આવી શકે છે.

બીજી તરફ જૂન મહિનામાં ભારતમાંથી આશરે 1.50 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી. જોકે હવે નિકાસની ગતિ ધીમી પડી શકે છે, કારણ કે ખાડી દેશો અને શ્રીલંકા જેવા બજારોમાં પાકિસ્તાન અને ચીનની સસ્તી ડુંગળી ભારતીય ડુંગળીને કડક સ્પર્ધા આપી રહી છે.

સરકારની વધારેલી ખરીદી ખેડૂતો માટે ચોક્કસ રાહતરૂપ બની શકે છે, પરંતુ હાલના તબક્કે સામાન્ય ગ્રાહકોને ડુંગળીના છૂટક ભાવમાં મોટો ઘટાડો કે વધારો જોવા મળવાની શક્યતા ઓછી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now