સુરત જિલ્લાનું માંડવી અત્યારે ધર્માંતરણના ગંભીર આરોપોથી ગાજી રહ્યું છે. ડૉ. અંકિત ચૌધરી સામે એક યુવતીએ લગ્નની લાલચે શારીરિક શોષણની ફરિયાદ કરી અને ત્યારબાદ જે હકીકત બહાર આવી તેણે સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે. આ કેસમાં હવે માંડવીના ભાટખાઈ ગામની રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મીના ચૌધરી આ ધર્માંતરણ રેકેટના માસ્ટર માઈન્ડ પાસ્ટર રામજી ચૌધરીની અત્યંત નજીક હતી. ખાસ કરીને ભોળી યુવતીઓ અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે લલચાવવી અને દબાણ કરવામાં મીનાની સક્રિય ભૂમિકા હતી. પાપનો ઘડો ફૂટવાના ડરથી ધરપકડ પહેલા મીનાએ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, જેથી પુરાવા નાશ કરી શકાય. પરંતુ ખાખીની નજરથી તે બચી શકી નહીં.
આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેલ ભેગા થયા છે, જેમાં 4 તો માત્ર સરકારી શિક્ષકો છે! જેમાં રામજી ચૌધરી (માસ્ટર માઈન્ડ પાસ્ટર અને શિક્ષક), ગુરજી ચૌધરી (શિક્ષક), રાકેશ વસાવા (શિક્ષક), મીનાબેન ચૌધરી (શિક્ષિકા), ડૉ. અંકિત ચૌધરી (મુખ્ય આરોપી) અને નવીન ચૌધરીનો સમાવેસ થાય છે.
બે દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ થઈ અને હવે મીના ચૌધરીની. એક પછી એક શિક્ષકોની સંડોવણી બહાર આવતા શિક્ષણ જગતમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શું હજુ પણ કોઈ મોટા માથાઓ આ રેકેટ પાછળ છે? શું પોલીસ તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થશે? તે જોવાનું રહેશે.





















