અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 21 ફેબ્રુઆરીના રોજ તેમણે દિવસની શરૂઆત સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરીને કરી હતી. ઠંડકભર્યા વાતાવરણમાં તેમણે કાર્યકરો સાથે મુલાકાત કરી અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો. ત્યારબાદ તેમણે અટલબ્રિજની મુલાકાત લઈ શહેરના વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.
ગાંઠિયા, પૌંવા અને ઉપમાનો નાસ્તો કર્યો
સવારે પરંપરાગત ગુજરાતી નાસ્તાનો પણ આનંદ લીધો હતો. ગાંઠિયા, પૌંવા અને ઉપમાનો સ્વાદ માણીને તેમણે સ્થાનિક વ્યંજનોની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ભદ્રકાળીના મંદિરે જઈ દર્શન કરી પૂજા-અર્ચના કરી
ત્યારબાદ તેમણે શહેરની નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે જઈ દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ તેમણે રાજ્ય અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક
પ્રવાસ દરમિયાન કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં સંગઠનાત્મક મુદ્દાઓ અને આવનારી રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નેતૃત્વ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પની પુનરાવર્તન કરવામાં આવી હતી.




















