અમદાવાદ: દેશભરમાં લાખો વિદ્યાર્થીઓની રાહ જોવાતી NEET-UG પુનઃપરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અગાઉ પેપર લીકના વિવાદ બાદ રદ કરાયેલી પરીક્ષાને લઈને આ વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર કુલ 79,411 ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓને બપોરે 1:30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાઈ હતી.
આ વખતે વિદ્યાર્થીઓને 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો, જેથી પ્રશ્નપત્ર વાંચવા અને જવાબો ગોઠવવામાં સરળતા રહે. દેશભરમાં કુલ 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો સહિત 5,440 પરીક્ષા કેન્દ્રો પર 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી સહિત 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવેલી આ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓના મિશ્ર પ્રતિસાદ સામે આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ પેપરને ગણાવ્યું વધુ મુશ્કેલ
પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ વખતેનું પ્રશ્નપત્ર અગાઉની પરીક્ષાની સરખામણીએ વધુ પડકારજનક હતું. ખાસ કરીને ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિભાગે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અમદાવાદની વિદ્યાર્થિની પલકે જણાવ્યું હતું કે બાયોલોજી વિભાગ તુલનાત્મક રીતે સરળ હતો, પરંતુ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પ્રશ્નો ખૂબ જ અઘરા હતા. સમય પૂરતો મળ્યો હોવા છતાં પેપર પૂર્ણ કરવામાં ભારે મહેનત કરવી પડી હતી. વિદ્યાર્થિની ઈશિતા પુરોહિતે જણાવ્યું હતું કે સમગ્ર પેપર સંતોષકારક રહ્યું, પરંતુ અગાઉની પરીક્ષાની સરખામણીએ કઠિનતા વધુ હતી. ખાસ કરીને ફિઝિક્સના લાંબા અને વિશ્લેષણાત્મક પ્રશ્નો વાંચવામાં જ ઘણો સમય ગયો હતો. વિદ્યાર્થી વરુણ સત્યએ પણ સ્વીકાર્યું હતું કે કેમિસ્ટ્રી અને ફિઝિક્સના વિભાગો સૌથી વધુ મુશ્કેલ રહ્યા હતા. તેના જણાવ્યા મુજબ, કુલ મળીને પેપર ડિફિકલ્ટ કેટેગરીમાં આવે એવું હતું અને ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ પર તેની અસર પડી શકે છે.
કડક સુરક્ષા વચ્ચે યોજાઈ પરીક્ષા
પેપર લીકની અગાઉની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત રાખવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ પહેલાં ઉમેદવારોની સઘન તપાસ કરવામાં આવી હતી. મેટલ ડિટેક્ટર, ઓળખ ચકાસણી અને ડ્રેસ કોડના નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ સતત નજર રાખી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ વિશેષ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું જેથી કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાઈ ન શકે.
અમદાવાદમાં હિજાબ અને ધાર્મિક પ્રતીકોને લઈને વિવાદ
જ્યારે રાજ્યના મોટાભાગના કેન્દ્રોમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી, ત્યારે અમદાવાદની આર.જે. ટિબ્રવાલ કોલેજ ખાતે હિજાબ અને ધાર્મિક પ્રતીકોને લઈને વિવાદ સર્જાયો હતો. કેટલાક વાલીઓ અને સામાજિક સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા કેન્દ્રમાં ડ્રેસ કોડના નિયમોનું સમાન રીતે પાલન કરાવવામાં આવ્યું નથી.
વાલીઓના જણાવ્યા અનુસાર હિન્દુ વિદ્યાર્થીઓને ગળાની કંઠી, હાથમાં બાંધેલા ધાર્મિક દોરા અને અન્ય ધાર્મિક ચિહ્નો ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને હિજાબ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ મુદ્દે કેટલાક વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ કેટલાક લોકો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને શરૂઆતમાં અંદર જવા દેવાયા બાદ ફરી બહાર બોલાવીને હિજાબ પહેરાવીને મોકલવામાં આવી હતી. જોકે આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.
આ પણ વાંચો: IPL સટ્ટાથી કરોડોની છેતરપિંડી : અમદાવાદમાંથી ઝડપાયેલા રેકેટના તાર દુબઈ સુધી પહોંચ્યા
VHP અને AIMIM કાર્યકરો આમને-સામને
વિવાદની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને AIMIMના કાર્યકરો મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર પાસે પહોંચી ગયા હતા. બંને પક્ષો વચ્ચે પ્રથમ શાબ્દિક તકરાર થઈ હતી, જે બાદ વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાસ્થળે થોડીવાર માટે ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના કારણે પરિસરમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. જોકે પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ બંને પક્ષોને અલગ કર્યા હતા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. નિયમભંગ અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ ત્રણ વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના મુસાફરો માટે રાહતના સમાચાર : સાબરમતીથી ચાલતી 3 એક્સપ્રેસ ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનથી દોડશે
પરિણામોને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા
પુનઃપરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓની નજર પરિણામો પર કેન્દ્રિત થઈ છે. પેપરની કઠિનતાને કારણે આ વર્ષે કટ-ઓફ અને મેરિટમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. શૈક્ષણિક નિષ્ણાતોના મત મુજબ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પડકારજનક પ્રશ્નોને કારણે સરેરાશ ગુણમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે અંતિમ સ્થિતિ પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ રીતે પેપર લીકના વિવાદ બાદ યોજાયેલી NEET-UG પુનઃપરીક્ષા મોટા ભાગે શાંતિપૂર્ણ રહી હોવા છતાં અમદાવાદમાં સર્જાયેલા હિજાબ અને ધાર્મિક પ્રતીકોના વિવાદે સમગ્ર ઘટનાક્રમને ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધો છે. વિદ્યાર્થીઓ માટે હવે સૌથી મોટો પ્રશ્ન તેમના પરિણામ અને ભવિષ્યના મેડિકલ પ્રવેશનો છે.





