Home International Ncsc Nationwide Campaign To Identify Converts Claiming Sc Quota Benefits

ધર્મ બદલીને આરક્ષણનો લાભ ઉઠાવતા લોકોની જશે નોકરી : રાષ્ટ્રીય આયોગે દેશભરમાં તપાસના આદેશ આપ્યા

ધર્મ બદલીને આરક્ષણનો લાભ ઉઠાવતા લોકોની જશે નોકરી
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 05:00 PM IST

ભારતમાં અનામતના નિયમો અને તેના અમલીકરણને લઈને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એટલે કે NCSC દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આયોગ હવે દેશવ્યાપી સ્તરે એક વિશેષ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને શોધી કાઢવાનો છે જેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે પરંતુ તેમ છતાં સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિના ક્વોટાનો ગેરકાયદેસર લાભ ઉઠાવી રહ્યા છે. બંધારણીય જોગવાઈ મુજબ અનામતનો લાભ માત્ર હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ પાળતા લોકોને જ મળવાપાત્ર છે.

આયોગને દેશના વિવિધ રાજ્યોમાંથી સતત ફરિયાદો મળી રહી હતી કે ધર્માંતરણ કર્યા બાદ પણ ઘણા લોકો ખોટી રીતે આરક્ષણની સુવિધા ભોગવી રહ્યા છે અને સાચા લાભાર્થીઓનો હક મારી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને NCSC હવે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને કડક સૂચના આપી રહ્યું છે. આ પત્રમાં રાજ્યના તમામ સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્રોની ઝીણવટભરી તપાસ કરવાના આદેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે પણ ઉત્તર પ્રદેશ સરકારને આવા લોકો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો જેઓ ખ્રિસ્તી બન્યા બાદ પણ SC અનામતનો લાભ લે છે.

ભારતીય બંધારણના આર્ટિકલ 341 હેઠળ રાષ્ટ્રપતિના 1950 ના આદેશમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે અનુસૂચિત જાતિનો દરજ્જો માત્ર એવા લોકોને જ મળી શકે જેઓ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મમાં માનતા હોય. આ સિવાયના અન્ય કોઈ પણ ધર્મને અપનાવનાર વ્યક્તિ SC અનામત માટે પાત્ર ઠરતી નથી. એટલે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે તો તે જાતિ આધારિત અનામત માટે અયોગ્ય ગણાય છે. આયોગને એવી પણ ફરિયાદો મળી છે કે માત્ર અનામતનો લાભ લેવા ખાતર અમુક લોકોએ કાગળ પર ફરીથી હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાનો ડોળ કર્યો હોય છે.

આ મામલે NCSC ના ચેરમેન કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે જુદા જુદા રાજ્યોમાંથી મળતી ફરિયાદોના આધારે અમે રાજ્ય સરકારોને રેકોર્ડ ચકાસવા માટે જણાવી રહ્યા છીએ. આયોગનો ઈરાદો ભવિષ્ય માટે એક એવી રિપોર્ટિંગ સિસ્ટમ ઊભી કરવાનો છે જેના દ્વારા રાજ્યો નિયમિતપણે આવા ડેટા આયોગ સાથે શેર કરી શકે. આનાથી ગેરરીતિ અટકાવવામાં મદદ મળશે. વર્ષ 2024 માં સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે માત્ર અનામતનો ફાયદો લેવા માટે ધર્મ પરિવર્તન કરવું એ બંધારણ સાથેની છેતરપિંડી સમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now