નર્મદા નદી સાથે સંકળાયેલી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા આ વર્ષે 19 માર્ચથી 17 એપ્રિલ, 2026 દરમિયાન યોજાનાર છે. ચૈત્ર વદ અમાસના દિવસે શરૂ થતી આ પરંપરાગત યાત્રા લગભગ એક મહિના સુધી ચાલે છે અને તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે. યાત્રા દરમિયાન પરિક્રમાર્થીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી. વાળાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન યાત્રાળુઓને જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વિવિધ વિભાગોને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પરિક્રમા માર્ગ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા, સ્વચ્છતા જાળવવી અને કચરાના યોગ્ય નિકાલ માટે સઘન આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન માર્ગો પર ગંદકી ન ફેલાય અને નિયમિત સફાઈ થાય તે માટે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા જણાવાયું હતું.
ઘાટ વિસ્તારોમાં યાત્રાળુઓને નદી પાર કરવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે જેટી વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રહે તે માટે શહેરાવ ઘાટ સુધી બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. પર્યાવરણને નુકસાન ન પહોંચે તે હેતુસર નર્મદા નદીમાં દીવા પ્રગટાવવાની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ પગલાં લેવા અંગે વિચારવિમર્શ થયો હતો.
પરિક્રમા માર્ગ પર આવતા રોડ-રસ્તાઓની હાલત સુધારવા, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા, પાર્કિંગ માટે નિર્ધારિત સ્થળો ગોઠવવા અને યાત્રાળુઓને માર્ગદર્શન મળે તે માટે સૂચક બોર્ડ લગાવવા અંગે પણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન સલામતી અને સુવિધાને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
પરંપરા મુજબ પરિક્રમાર્થીઓ રામપુરા ગામેથી યાત્રા શરૂ કરી કિડી મંકોડી ઘાટથી શહેરાવ ઘાટ સુધી લગભગ 7 કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારબાદ નદી પાર કરી તિલકવાડા ઘાટથી રેંગણઘાટ સુધી ફરી અંદાજે 7 કિલોમીટર ચાલે છે અને અંતે નદી ઓળંગીને ફરી રામપુરા ઘાટ ખાતે આવી પરિક્રમા પૂર્ણ કરે છે. ધાર્મિક આસ્થાથી જોડાયેલી આ યાત્રામાં દર વર્ષે ભાવિકોની સંખ્યા સતત વધી રહી છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, મદદનીશ કલેક્ટર તથા નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌર, પ્રાંત અધિકારી જુહી પાંડે અને નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




















