દેશભરમાં NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પરીક્ષા સુધારાઓ માટે રચાનારી હાઇ પાવર ટાસ્ક ફોર્સનું નેતૃત્વ દેશના જાણીતા ટેકનોલોજી નિષ્ણાત અને 'આધારના જનક' તરીકે ઓળખાતા નંદન નીલેકણી કરશે. આ જાહેરાત બાદ ફરી એક વખત લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આખરે નંદન નીલેકણી કોણ છે અને સરકારે આટલો મોટો વિશ્વાસ તેમના પર જ કેમ મૂક્યો?
ઇન્ફોસિસથી ભારતના ડિજિટલ આર્કિટેક્ટ સુધીનો સફર
નંદન મોહનરાવ નીલેકણીનો જન્મ 2 જૂન, 1955ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર રહેલા નીલેકણીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ IIT બોમ્બેથી પૂર્ણ કર્યો હતો. અભ્યાસ બાદ તેમણે પટણી કમ્પ્યુટર સિસ્ટમ્સમાં કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તેમની મુલાકાત એન.આર. નારાયણ મૂર્તિ સાથે થઈ. આ મુલાકાતે આગળ જઈને ભારતના IT ઉદ્યોગનો ઇતિહાસ બદલ્યો.
વર્ષ 1981માં નારાયણ મૂર્તિ સહિત સાત સહસ્થાપકોએ મળીને ઇન્ફોસિસની સ્થાપના કરી. શરૂઆતમાં નાની કંપની તરીકે શરૂ થયેલી ઇન્ફોસિસ આજે વિશ્વની અગ્રણી IT કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં નંદન નીલેકણીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ વર્ષ 2002થી 2007 દરમિયાન ઇન્ફોસિસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર રહ્યા હતા, જ્યારે વર્ષ 2017માં તેઓ ફરી કંપનીના ચેરમેન તરીકે જોડાયા હતા.
આધાર પ્રોજેક્ટે બદલી ભારતની ઓળખ
કોર્પોરેટ જગતમાં સફળતા બાદ વર્ષ 2009માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે નંદન નીલેકણીને કેબિનેટ દરજ્જા સાથે UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ દુનિયાની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ વ્યવસ્થા 'આધાર' વિકસાવવામાં આવી.
આજે આધાર ભારતના ડિજિટલ ગવર્નન્સનો આધારસ્તંભ બની ગયો છે. એક અબજથી વધુ લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવામાં, ઓળખ ચકાસવામાં અને ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આધાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, ડેટા સુરક્ષા અને ગોપનીયતા અંગે સમયાંતરે ચર્ચાઓ પણ થઈ છે, તેમ છતાં વૈશ્વિક સ્તરે તેને સૌથી મહત્ત્વાકાંક્ષી ડિજિટલ પહેલોમાંથી એક માનવામાં આવે છે.
UPI સહિત ડિજિટલ ઈન્ડિયાના વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન
નંદન નીલેકણી માત્ર આધાર પ્રોજેક્ટ સુધી મર્યાદિત રહ્યા નથી. ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આજે દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર UPIના પ્રારંભિક ટેક્નિકલ માળખાને પ્રોત્સાહન આપવામાં પણ તેમની અગત્યની ભૂમિકા માનવામાં આવે છે. જેના કારણે ભારત વિશ્વના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં સામેલ થયું છે.
રાજકારણમાં પણ અજમાવ્યો હતો હાથ
વર્ષ 2014માં નંદન નીલેકણીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બેંગલુરુ સાઉથ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે તેઓ ભાજપના અનંત કુમાર સામે પરાજિત થયા હતા. ત્યારબાદ તેમણે સક્રિય રાજકારણથી દૂર રહી ટેક્નોલોજી, જાહેર નીતિ અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.
દાનશીલતામાં પણ આગવી ઓળખ
નંદન નીલેકણી દેશના મોટા દાતાઓમાં પણ સામેલ છે. વર્ષ 2023માં તેમણે IIT બોમ્બેને ₹315 કરોડનું દાન આપ્યું હતું, જે સંસ્થાને કોઈ પૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું દાન ગણાય છે. આ પહેલાં પણ તેઓ ₹85 કરોડનું યોગદાન આપી ચૂક્યા હતા. તેમની પત્ની રોહિણી નીલેકણી પણ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસના અનેક પ્રોજેક્ટ્સ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.
પરીક્ષા સુધારાની જવાબદારી શા માટે નંદન નીલેકણીને?
તાજેતરના વર્ષોમાં NEET સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના આરોપોએ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં પરીક્ષા પ્રણાલી પ્રત્યે અવિશ્વાસ ઊભો કર્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારને એવા નિષ્ણાતની જરૂર હતી, જેને રાષ્ટ્રીય સ્તરે વિશાળ ડિજિટલ સિસ્ટમ ઉભી કરવાનો અનુભવ હોય. નંદન નીલેકણીએ આધાર જેવા વિશ્વના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું હોવાથી સરકારે પરીક્ષા સુધારાની સૌથી મોટી જવાબદારી તેમને સોંપવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેનું નેતૃત્વ નંદન નીલેકણી કરશે. સરકારનું માનવું છે કે તેમની ટેક્નિકલ કુશળતા અને મોટા પાયે ડિજિટલ સિસ્ટમ વિકસાવવાનો અનુભવ પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.
પરીક્ષા કાયદામાં શું થઈ શકે છે મોટા ફેરફારો?
સરકાર 'જાહેર પરીક્ષા અધિનિયમ-2024'માં પણ મહત્વપૂર્ણ સુધારાઓ કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત ફેરફારો મુજબ ગંભીર પરીક્ષા ગુનાઓમાં દંડની રકમ વધારીને ₹10 કરોડ સુધી કરવામાં આવી શકે છે અને જેલની સજા 8 વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે. ઉપરાંત પરીક્ષા સંબંધિત ગુનાઓની તપાસ માટે વિશેષ STFની રચના કરવાની યોજના છે.
નવી વ્યવસ્થા મુજબ FIR નોંધાયા બાદ અથવા સૂચના જાહેર થયા પછી બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી ફરજિયાત બની શકે છે. ચાર્જશીટ દાખલ થયા પછી ત્રણ મહિનાની અંદર કેસનો ઝડપી નિકાલ થાય તે માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ કરવામાં આવી શકે છે. સાથે જ હાઇકોર્ટમાં દાખલ થતી અપીલોનો પણ ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રસ્તાવ છે.




