ઈરાનમાં પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈની સ્મૃતિમાં શનિવારે કુમ શહેરમાં વિશેષ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ આ કાર્યક્રમનું નેતૃત્વ તેમના પુત્ર અને હાલના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ કરશે. આ જાહેરાત બાદ દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે કે મોજતબા ખામેનેઈ કદાચ પ્રથમ વખત જાહેરમાં જોવા મળી શકે છે. જોકે તેમની જાહેર હાજરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
શોકસભાને લઈને વધી અટકળો
તસ્નીમના અહેવાલ મુજબ શોકસભા શનિવારે મગરિબ અને ઈશાની નમાજ બાદ કુમ સ્થિત હઝરત માસૂમેહ દરગાહ પરિસરમાં યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાર્મિક આગેવાનો, સરકારી પ્રતિનિધિઓ અને શ્રદ્ધાળુઓ હાજર રહે તેવી શક્યતા છે.
મોજતબા ખામેનેઈ કાર્યક્રમનું નેતૃત્વ કરશે તેવી માહિતી સામે આવતા તેમની જાહેર હાજરીને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
લાંબા સમયથી જાહેર જીવનથી દૂર
અહેવાલો અનુસાર યુદ્ધ શરૂ થયા બાદથી મોજતબા ખામેનેઈ જાહેર જીવનથી સંપૂર્ણપણે દૂર રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમની કોઈ સત્તાવાર તસવીર, વીડિયો અથવા ઓડિયો જાહેર કરવામાં આવ્યો નથી.
તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ તેમની ગેરહાજરી બાદ તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી.
ઈજાગ્રસ્ત હોવાના દાવા, પરંતુ પુષ્ટિ નથી
કેટલાક વરિષ્ઠ સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે જે હુમલામાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું તેમાં મોજતબા ખામેનેઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓ હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા નથી.
સાથે જ સુરક્ષા કારણોસર તેમજ સંભવિત અમેરિકી સૈન્ય કાર્યવાહી અંગેની આશંકાને ધ્યાનમાં રાખીને પણ તેમને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ તમામ દાવાઓ અંગે ઈરાન સરકાર અથવા સંબંધિત સત્તાવાર તંત્ર દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અંતિમ સંસ્કાર બાદ યોજાશે વિશેષ કાર્યક્રમ
શુક્રવારે વહેલી સવારે આયાતુલ્લા અલી ખામેનેઈને મશહદ સ્થિત ઈમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા હતા. તેના સાથે જ એક સપ્તાહ સુધી ચાલેલા રાષ્ટ્રીય શોક કાર્યક્રમોનો સમાપન થયો હતો. હવે શનિવારે યોજાનારી શોકસભા પર સમગ્ર વિશ્વની નજર રહેશે, કારણ કે તેમાં મોજતબા ખામેનેઈ જાહેરમાં જોવા મળે છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.





