ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી વિશે ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભરત અરુણે જણાવ્યું કે, એક સમયે શમી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા વિશે વિચારી રહ્યા હતા. તેમણે કહ્યું કે, 2018ના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા શમી તેમની અંગત સમસ્યાઓને કારણે ખૂબ જ પરેશાન હતા.
ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થતાં શમીએ ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું
ભરત અરુણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “જ્યારે શમી અંગત જીવનમાં મુશ્કેલીઓ અને આઘાતમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રવિ શાસ્ત્રીએ તેમની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે જો તને કોઈ પણ પ્રકારના સપોર્ટની જરૂર હોય, તો પ્લીઝ મને જણાવજે.”
વર્ષ 2018માં ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ભારતને અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની હતી. તે સમયે, શમી ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યા ન હતા અને તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ કારણે તે ખૂબ નિરાશ થયા હતા અને તેમની અંગત સમસ્યાઓ પણ ચરમસીમાએ હતી. ભરત અરુણના જણાવ્યા મુજબ, શમી તે સમયે તેમના રૂમમાં આવ્યા અને કહ્યું કે, “પાજી, હું ક્રિકેટ છોડી દઈશ.”
શાસ્ત્રી અને અરુણે બચાવ્યું શમીનું કરિયર
પૂર્વ બોલિંગ કોચે આગળ જણાવ્યું, “મેં શમીને પૂછ્યું કે, ક્રિકેટ છોડ્યા પછી તું શું કરીશ? આજે તું જે કંઈ પણ છે, તે ક્રિકેટના કારણે જ છે.” શમીએ કહ્યું કે તે ગુસ્સામાં હતો. ત્યાર બાદ, ભરત અરુણ શમીને રવિ શાસ્ત્રી પાસે લઈ ગયા. રવિ શાસ્ત્રીએ તેને સમજાવતા કહ્યું કે, “જો તું ગુસ્સામાં છે અને તારા હાથમાં બોલ છે, તો તારો ગુસ્સો બોલ દ્વારા વ્યક્ત કર. શું તું ક્રિકેટ એટલા માટે છોડવા માંગે છે કારણ કે તારી બોડી ફિટ નથી?”
રવિ શાસ્ત્રી અને ભરત અરુણના કહેવાથી શમીને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં મોકલવામાં આવ્યો અને ત્યાંના કોચને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે શમીની ફિટનેસ પર કામ કરવામાં આવે, તેની બોલિંગ પર નહીં. ત્રણ અઠવાડિયા પછી શમીએ ભરત અરુણને ફોન કરીને કહ્યું કે, “પાજી, હું તો અત્યારે ઘોડાની જેમ ભાગી રહ્યો છું.” આ ઘટના બાદ શમીનું કરિયર બચી ગયું અને આજે તે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંના એક છે.





















