logo-img
Modi Netanyahu Knesset Speech Iron Alliance Radical Islam Updates

ભારત અને ઈઝરાયેલ વચ્ચે રચાશે ‘Iron Alliance’ : કટ્ટરપંથી ઈસ્લામ સામે નેતન્યાહુએ PM Modiની હાજરીમાં કરી મોટી જાહેરાત

ભારત અને ઈઝરાયેલ વચ્ચે રચાશે ‘Iron Alliance’
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 05:20 PM IST

ઈઝરાયેલની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ઈઝરાયેલની સંસદમાં PM Modi ના સંબોધન પૂર્વે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારત સાથે મળીને ‘કટ્ટરપંથી ઈસ્લામ’ ના જોખમ સામે Iron Alliance (આયર્ન એલાયન્સ) બનાવવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો હવે પહેલા કરતા વધુ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે.

માનવતાના દુશ્મનો સામે મજબૂત ગઠબંધન

પોતાના પ્રવચનમાં બેન્જામિન નેતન્યાહુએ કટ્ટરપંથી વિચારધારા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે દેશો પ્રગતિ, માનવીય ગૌરવ અને પરસ્પર સન્માનમાં વિશ્વાસ રાખે છે, તેમણે એક થવાની જરૂર છે. નેતન્યાહુએ ઉમેર્યું હતું કે અમે એવા લોકો સામે લડવા તૈયાર છીએ જેઓ મૃત્યુને પવિત્ર માને છે અને દુનિયાને મધ્યયુગીન બર્બરતા તરફ ધકેલવા માંગે છે. 7 ઓક્ટોબર 2023ના આતંકી હુમલા બાદ ભારતે જે રીતે ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, તે બદલ તેમણે PM Modiનો આભાર માન્યો હતો.

યહૂદીઓ પ્રત્યે ભારતના અભિગમની પ્રશંસા

ઈઝરાયેલી પ્રધાનમંત્રીએ ભારતની ભવ્ય સભ્યતાના વખાણ કરતા કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે જ્યાં યહૂદી સમુદાય પર ક્યારેય અત્યાચાર થયો નથી. ભારતીય સમાજમાં હંમેશા યહૂદીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમને પૂરતું સન્માન મળ્યું છે. આ ઐતિહાસિક સત્યને ઈઝરાયેલ ક્યારેય ભૂલી શકે તેમ નથી. ભારતની આ ઉદારતા માટે તેમણે સમગ્ર દેશનો આભાર વ્યક્ત કર્યો હતો.

‘મોદી હગ’ અને અતૂટ મિત્રતાનો ઉલ્લેખ

નેતન્યાહુએ પીએમ મોદી સાથેના અંગત સંબંધો વિશે વાત કરતા તેમને ‘મિત્ર કરતા પણ વિશેષ ભાઈ’ ગણાવ્યા હતા. એરપોર્ટ પર થયેલા સ્વાગતને યાદ કરતા તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું ગળે મળવું ખૂબ જ ખાસ છે, જે સમગ્ર વિશ્વમાં મોદી હગ તરીકે પ્રખ્યાત છે. તેમણે જેરુસલેમમાં ભારતીય ડેલિગેશન (Delegation)નું ઉષ્માભર્યું સ્વાગત કરતા પીએમ મોદીને વિશ્વના મંચ પરના એક મહાન નેતા ગણાવ્યા હતા.

વિકાસ અને સુરક્ષાનો નવો રોડમેપ

આ મુલાકાતથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અને ઈઝરાયેલ માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ સંરક્ષણ અને આતંકવાદ વિરોધી અભિયાનમાં પણ એકબીજાના પૂરક બનશે. આ આયર્ન એલાયન્સ આગામી સમયમાં મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામાં સુરક્ષાના સમીકરણો બદલી શકે છે. નેતન્યાહુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જોડાણથી બંને દેશોની શક્તિમાં અનેકગણો વધારો થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now