MLA Kanti Kharadi Tribal Walk : બનાસકાંઠાના દાંતાના ધારાસભ્ય અને આદિવાસી સમાજ અગ્રણીઓ આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. દાંતામાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ આદિવાસી યુવાનોને દાખલા મેળવવામાં આવી રહેલી ગંભીર મુશ્કેલીઓ સામે સરકારનું ધ્યાન દોરવાનો છે.
'દાખલાઓ મેળવવામાં ભારે તકલીફો પડી રહી છે'
આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી યુવાનોને જાતિ, નિવાસ અને અન્ય જરૂરી દાખલાઓ મેળવવામાં ભારે તકલીફો પડી રહી છે. અનેક વખત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રો આપવામાં આવ્યા અને રજૂઆતો કરવામાં આવી, છતાં આજદિન સુધી કોઈ યોગ્ય પરિણામ મળ્યું નથી. આ કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને લાલઘૂમ માહોલ જોવા મળી રહ્યો છે.
'સરકારી નોકરી મળી છે, પરંતુ જરૂરી દાખલાઓ અભાવે ઓર્ડર મળતા નથી'
આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, 'અનેક આદિવાસી યુવાનોને સરકારી નોકરી મળી ચૂકી છે, પરંતુ જરૂરી દાખલાઓ સમયસર ન મળતા તેઓ નોકરીના ઓર્ડર મેળવી શકતા નથી. દાખલાની અછતને કારણે યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સ્થિતિ સામે સરકારનું ધ્યાન દોરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત આદિવાસી સમાજના આગેવાનોએ પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા શરૂ કરી છે.
'આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે'
કાંતિ ખરાડીએ જણાવ્યું છે કે, જો આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આદિવાસી સમાજના આગેવાનોએ સરકારને ચીમકી આપતાં કહ્યું છે કે, જ્યાં સુધી યુવાનોના હક અને અધિકારો મળતા નહીં થાય ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે





















