મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ગામમાં 15 વર્ષીય કિશોરને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપોને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાને પગલે એક પછી એક આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ પરિવારના સમર્થનમાં સામે આવી રહ્યા છે.
કરણી સેનાએ પરિવારના સમર્થનમાં મોરચો સંભાળ્યો
આ મામલે હવે ક્ષત્રિય કરણી સેનાએ પણ પરિવારના સમર્થનમાં ખુલ્લેઆમ મોરચો સંભાળ્યો છે. કરણી સેનાના લખન દરબારે વીડિયો સંદેશ મારફતે ચેતવણી આપતા જણાવ્યું છે કે, “જે કોઈ અધિકારી જવાબદાર છે તેના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, નહિતર કરણી સેનાના રાજ શેખાવત સહિત અમારી ટીમ બાલાસિનોર આવશે અને ન્યાય માટે લડત આપશે.”
મેહુલ બોઘરાએ માત્ર 1 રૂપિયો ફી લઈને કેસ લડવાની જાહેરાત કરી
બીજી તરફ એડવોકેટ મેહુલ બોઘરાએ પણ આ મામલે પ્રવેશ કર્યો છે. સોશિયલ મીડિયા મારફતે તેમણે પીડિત પરિવારને સમર્થન આપતા એસપી સફિન હસન સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “તમે એટલા જ ગીતા પાઠ કરો છો તો તમારી કથા અને કરણીમાં ફરક કેમ દેખાય છે?” સાથે જ એડવોકેટ મેહુલ બોઘરાએ માત્ર 1 રૂપિયો ફી લઈને પરિવાર તરફથી કેસ લડવાની ખાતરી આપી છે.
પોલીસનું નિવેદન શું છે?
ઘટનાના પગલે પોલીસ પણ હરકતમાં આવી હતી અને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ જનોડ ગામના લીંબચ માતાના મંદિરમાં ચાંદીની ચરણપાદુકાની ચોરી થઈ હતી, જે બાબતે ગ્રામજનોએ અરજી કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરની ચાવી પૂજારી અને સફાઈ કામદાર પાસે રહે છે. સફાઈ કામદારની માતા બીમાર હોવાથી તેનો પુત્ર, જે ધોરણ 9માં અભ્યાસ કરે છે, મંદિરની સફાઈ કરતો હતો. પોલીસે શંકાના આધારે માતા-પિતા અને કિશોરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તપાસ દરમિયાન મંદિરનું તાળું ટેબલ પર મૂકેલું હતું અને કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે પૂછપરછના બીજા દિવસે કિશોર અને પરિવાર હોસ્પિટલ ગયા હતા, પરંતુ મેડિકલ રિપોર્ટમાં કોઈ બાહ્ય ઈજા દર્શાવવામાં આવી નથી.
'અડધું સત્ય રજૂ કરવામાં આવ્યું'
પોલીસે વધુમાં જણાવ્યું કે બાયડ અને બાલાસિનોરના ધારાસભ્યો રાત્રે પરિવાર પાસે બેઠા હતા અને સોશિયલ મીડિયામાં અડધું સત્ય રજૂ કરવામાં આવી રહ્યું છે. ડીવાયએસપીએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલુ છે, સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને જો કોઈ પોલીસકર્મી દોષિત સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધારાસભ્યોની મુલાકાત અને રાજકીય ગરમાવો
આ ગંભીર મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભોગ બનનાર વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમની સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યએ પરિવારને ન્યાયની ખાતરી આપી હતી.
'પોલીસ અને સરકાર પોતાનું કામ કરશે...'
બીજી તરફ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સગીરના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર પરોક્ષ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “પોલીસ અને સરકાર પોતાનું કામ કરશે, જે દોષિત હશે તેને સજા મળશે, પરંતુ બહારના લોકો આવીને બાલાસિનોરની શાંતિ ન ડોહોળે.”
સમગ્ર મામલો શું છે?
બાલાસિનોરમાં પોલીસ દ્વારા સગીરને માર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આરોપ છે કે બાલાસિનોર રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટરે સગીરને ઢોર માર માર્યો હતો. મારને કારણે કિશોરની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક બાલાસિનોર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ પડતી ગભરાહટ અને ઉલટીઓ થતાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
'13 વર્ષના માસૂમને મારનાર PIના પટ્ટા સરકાર ઉતારશે કે નહીં?'
આ ઘટનાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવણીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “13 વર્ષના માસૂમને મારનાર PIના પટ્ટા સરકાર ઉતારશે કે નહીં?”




















