અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ એક દુઃખદ ઘટના સામે આવી હતી. કેન્સરથી પીડાતા એક આધેડ વયના વ્યક્તિએ જાહેર સ્થળ પર પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કેન્સર પીડિતે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી
આધેડને સળગતા જોઈને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમના પર પાણી છાંટી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન મોત
ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ મોડીરાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા આપઘાત પાછળનું કારણ, મૃતકની ઓળખ અને અન્ય પરિસ્થિતિઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




















