Goa cylinder explosion: ઉત્તર ગોવાના આર્પોરામાં ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં શનિવાર-રવિવારની મધરાત પછી ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં ભયાનક આગ લાગી, જેમાં 25 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 14 ક્લબ સ્ટાફ, 4 પ્રવાસીઓ અને અન્યનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં મોત ધુમાડાથી ગૂંગળામણ વેઠીને થયાં છે.
જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી
ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ઘટનાસ્થળે પહોંચીને જણાવ્યું હતું કે, “ક્લબ ફાયર સેફ્ટીના કોઈપણ નિયમોનું પાલન કરતું ન હતું. તેમ છતાં બેદરકાર અધિકારીઓએ તેને ચલાવવાની મંજૂરી આપી હતી. ક્લબ મેનેજમેન્ટ તથા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પીક ટુરિસ્ટ સિઝન દરમિયાન આ અત્યંત દુઃખદ ઘટના છે અને સંપૂર્ણ તપાસ બાદ ગુનેગારોને છોડવામાં નહીં આવે.
મુખ્ય માહિતી એક નજરમાં
મૃત્યુઆંક: 25 (14 ક્લબ સ્ટાફ, 4 પ્રવાસીઓ, 3 મહિલાઓ સહિત)
ઘાયલ: 7 (હોસ્પિટલમાં સારવાર ચાલુ)
આગનું કારણ: રસોડામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ
સ્થળ: બિર્ચ બાય રોમિયો લેન, આર્પોરા (પણજીથી લગભગ 25 કિ.મી.)
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો અને પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારને ₹2 લાખ તથા ઘાયલોને ₹50,000ની સહાય જાહેર કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી.
ક્લબોની તપાસ અને લાઇસન્સ રદ્દની તૈયારી
સ્થાનિક ધારાસભ્ય માઇકલ લોબોએ જણાવ્યું કે, તમામ મૃતદેહો બહાર કાઢી બામ્બોલિમ મેડિકલ કોલેજમાં મોકલાયા
સોમવારથી તમામ નાઇટક્લબોને ફાયર સેફ્ટી પરમિટ માટે નોટિસ અપાશે
જે ક્લબો પાસે જરૂરી પરમિટ નહીં હોય તેમનું લાઇસન્સ રદ કરાશે
રાજ્યમાં તમામ ક્લબોનું ફાયર સેફ્ટી ઓડિટ કરાશે
આ ઘટનાએ ગોવાની પ્રવાસી સિઝન દરમિયાન સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.




















