Panchmahal Crime News : પંચમહાલ જિલ્લામાં ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરાવવાના ગંભીર આક્ષેપ સામે તલાટી સહિત ત્રણ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણ જિલ્લાના રહેવાસી અમૃતભાઈ પટેલે જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું કે કણજીપાણી ગામના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલ, સાથે કૌશિક ગિરી ગોસ્વામી અને જયશ્રી પટેલે મળીને બોગસ દસ્તાવેજો અને છેડછાડ કરાયેલા સોગંદનામાના આધારે શંકાસ્પદ રીતે લગ્ન નોંધાવી દીધા હતા.
યુવક–યુવતી હાજર ન હતા અને લગ્ન થઈ ગયા!
આક્ષેપ મુજબ, લગ્ન નોંધણી સમયે લગ્ન કરનાર યુવક–યુવતી હાજર પણ ન હતા, છતાં ત્રણેય કર્મચારીઓએ દસ્તાવેજોની ગેરરીતિઓને અવગણીને લગ્ન નોંધણી પૂર્ણ કરી દીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા હવે જાંબુઘોડા પોલીસ ગેરરીતિઓની વિગતવાર તપાસ કરી રહી છે અને આગળના પગલાં અંગે પ્રક્રિયા શરૂ કરી છે.
હાલોલ DySPએ શું કહ્યું?
હાલોલ DySP વી જે રાઠોડએ કહ્યું કે, 'ઊંઝાથી ફરિયાદ ટ્રાન્સફર થઈ અહીં આવેલી છે, જેના આધારે અમે ગુનો રજીસ્ટ્રાર કર્યો છે. જેમાં ખોટા સોંગદનામા રજૂ કરીને ખોટા દસ્તાવેજો આધીન લગ્નની નોંધણી કરી હોવાનું ખુલ્યું છે. જેમાં તલાટી કમ મંત્રીએ ખોટા દસ્તાવેજો આધીન લગ્નનું પ્રમાણપત્ર આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે'.





















