Actress Varsha Usgaonkar: પ્રખ્યાત મરાઠી અભિનેત્રી વર્ષા ઉસગાંવકર અને મરાઠી થિયેટર-ફિલ્મ અભિનેત્રી મૃણાલિની સુભાષ જાંભલે સહિત અનેક લોકોને ₹47 લાખની છેતરપિંડી કરવાના આરોપમાં બિલ્ડર તેમજ ફિલ્મ નિર્માતા અવિનાશ જાધવ વિરુદ્ધ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ ₹47 લાખની રકમ જાધવને આપી
ફરિયાદ મુજબ, અવિનાશ જાધવે પોતાને પ્રખ્યાત બિલ્ડર અને ફિલ્મ નિર્માતા તરીકે રજૂ કરીને મૃણાલિની જાંભલેને ડોંબિવલીમાં એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવા લાલચ આપી હતી. તેણે ટૂંકા સમયમાં ઊંચો નફો મળશે અને એક વર્ષમાં મૂળ રકમ પરત મળી જશે તેવું વચન આપ્યું હતું. નવેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 દરમિયાન મૃણાલિની જાંભલે, વર્ષા ઉસગાંવકર અને અન્ય ત્રણ વ્યક્તિઓએ ચેક તેમજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ ₹47 લાખની રકમ જાધવને આપી હતી. શરૂઆતમાં જાધવે ₹4.52 લાખ પરત કરીને વિશ્વાસ જમાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારબાદ ચૂકવણી બંધ કરી દીધી.
"પૈસા પાછા નહીં આપું, તમે જે કરવું હોય તે કરો."
પીડિતોએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો જાધવે મોબાઈલ નંબર અને સરનામું બદલી નાખ્યું. ડોંબિવલીમાં ખુલાસો માંગવા ગયા ત્યારે તેણે ધમકી આપી કે "પૈસા પાછા નહીં આપું, તમે જે કરવું હોય તે કરો."આ પછી પીડિતોએ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 506 (ધમકી) હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ દરમિયાન પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ રીતે જાધવે અન્ય કેટલા લોકોને ફસાવ્યા છે. આ કેસમાં ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.




















