Bharuch Politics : ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવા અને સ્થાનિક ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ વચ્ચેનો વિવાદ હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ધારાસભ્ય દ્વારા બદનક્ષીની ધમકી આપવામાં આવતા આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ભરૂચ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ડો. દર્શનાબેને ખોટા આક્ષેપ કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે.
'75 લાખ રૂપિયાની તોડપાણી...'
મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં થયેલા ખર્ચની વિગતો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા માંગવામાં આવી હતી. બાદમાં સંબંધિત અધિકારીઓ દ્વારા આ તમામ વિગતો આપવામાં આવી હતી. જોકે, બે-ત્રણ દિવસ પછી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પાસે 75 લાખ રૂપિયાની તોડપાણીની માંગણી કરવામાં આવી હોવાનું તેમને જાણવા મળ્યું હતું.
'દર્શનાબેનએ સીધી વાત કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ...'
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, 'આ બાબતની જાણ થતાં તેમણે તમામ અધિકારીઓ અને સંકળાયેલા લોકોને કોઈપણ રકમ ન આપવા સ્પષ્ટ સૂચના આપી હતી અને સમગ્ર મામલે કમલમ ખાતે રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ નનામા પત્રો ફરતા થતાં ડો. દર્શનાબેન દ્વારા પત્રકાર પરિષદ યોજી તેમની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને બદનક્ષીનો દાવો કરવાની પણ વાત કરવામાં આવી હતી'. મનસુખ વસાવાએ કહ્યું કે, 'જો તેમની તરફથી કોઈ વાત ખોટી લાગી હોય તો દર્શનાબેનને સીધી વાત કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ હતો, પરંતુ પત્રકાર પરિષદ કરીને ઉલટા તેમની ઉપર જ આક્ષેપ કરાયા'.
'પાર્ટીની શાખને નુકસાન થાય...'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સતત નિવેદનો આપવામાં આવતા હોવા છતાં પણ પાર્ટીના જ ધારાસભ્ય દર્શનાબેન એક શબ્દ પણ બોલતા નહોતા. તેમનો આક્ષેપ માત્ર આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલી 75 લાખ રૂપિયાની માંગણી બાબતે હતો, પરંતુ ડો. દર્શનાબેને આ મુદ્દો પોતાને લગતો હોવાનું માની લઈને પાર્ટીની શાખને નુકસાન થાય તેવો મામલો ઉભો કર્યો હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું. તેમણે અંતમાં કહ્યું કે પાર્ટીની શાખ બચાવવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે.





















