વડોદરા: ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 6 જુલાઈએ ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ હાથ ધરાશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે.
ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર માંજલપુર બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે.
MLA યોગેશ પટેલના નિધન બાદ બેઠક ખાલી પડી
માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. યોગેશભાઈ પટેલ વડોદરાની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય રહ્યા હતા અને અનેક વખત માંજલપુર બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ બંધારણીય જોગવાઈઓ અનુસાર આ બેઠક માટે પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ચૈતર વસાવાને છોડાવવા ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસીઓ ઉમટ્યાં : ડેડીયાપાડામાં આદિવાસી મહાસંમેલન, ગુજરાતમાં AAPનું એપી સેન્ટર બન્યું નર્મદા
રાજકીય પક્ષોએ શરૂ કરી તૈયારીઓ
આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ રાજકીય પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગી માટે આંતરિક કવાયત શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થવાની સાથે ચૂંટણી પ્રચાર પણ વેગ પકડે તેવી શક્યતા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે માંજલપુરની પેટાચૂંટણીનું પરિણામ માત્ર સ્થાનિક રાજકારણ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણી અગાઉ રાજ્યના રાજકીય માહોલનો સંકેત પણ આપી શકે છે. હવે તમામની નજર ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી પ્રચાર પર કેન્દ્રિત થઈ છે.





