Manish Pandey: ભારતીય બેટ્સમેન મનીષ પાંડે અંગે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના પ્રમુખ જે. અભિરામે મંગળવારે એક મોટો નિર્ણય લીધો, જ્યાં તેમણે કર્ણાટક ટીમમાંથી તમામ ફોર્મેટમાં અનુભવી બેટ્સમેનને બહાર કરી દીધો છે. 35 વર્ષીય પાંડેને આ મહિનાના અંતમાં શરૂ થનારી વિજય હજારે ટ્રોફી માટે કર્ણાટકની સંભવિતોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો નથી.
KSCA પ્રમુખે સ્પોર્ટસ્ટારને જણાવ્યું કે, યુવા ખેલાડીઓને આગળ આવવા અને સારું પ્રદર્શન કરવાની તક આપવાનો સમય આવી ગયો છે. મનીષની કારકિર્દી શાનદાર રહી છે અને તેમાં કોઈ શંકા નથી. પરંતુ અમુક સ્તરે તમારે યુવાનો માટે જગ્યા બનાવવી પડશે. અમારી પાસે કેટલાક મહાન યુવા બેટ્સમેન છે, જેમ કે પ્રખર ચતુર્વેદી, અનેશ્વર ગૌતમ, કેવી અનીશ. તેમને જેટલી વધુ તકો મળશે તેટલું જ તે વધુ સારી રીતે રમી શકશે.
મનીષ પાંડે હવે કર્ણાટક તરફથી નહીં રમે
નોંધનીય છે કે, પાંડે આ સિઝનમાં રણજી ટ્રોફીમાં કર્ણાટકનો વાઇસ કેપ્ટન હતો. જો કે, હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે મનીષ પાંડે હવે કર્ણાટક માટે નહીં રમે. તેના વિશે અભિરામે કહ્યું કે, 'પાંડે રણજી ટ્રોફીના બીજા ચરણ માટે વાપસી નહીં કરે. અમારી પાસે રિઝર્વમાં કેવી અનીશ છે અને તેને તક મળવી જોઈએ. હવે યુવાનો પર નિર્ભર છે કે તેઓ તમામ તકોનો પૂરેપૂરો લાભ ઉઠાવે. મેં પાંડે સાથે વાત કરી અને તેમને આ નિર્ણયના તમામ કારણો જણાવ્યા. અમે ઈચ્છીએ છીએ કે, તે કર્ણાટક ક્રિકેટ સાથે જોડાયેલો રહે. કદાચ કોચ તરીકે અથવા કોઈ અન્ય ભૂમિકામાં. આવી મુશ્કેલ વાતચીત કરવી ખૂબ જ મુશ્કેલ છે.
મનીષ પાંડેની કારકિર્દી કેવી રહી?
ઉલ્લેખનીય છે કે, મનીષ પાંડે 2007માં સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યા બાદથી તેને સતત કર્ણાટક ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બેટ્સમેન પ્રથમ વખત 2009માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અણનમ 114 રન બનાવીને IPL ઈતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો. એક ઉત્તમ એથ્લેટ અને ફિલ્ડર રહેલ પાંડેએ નેશનલ ટીમ માટે 29 ODI અને 39 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. તેમણે 118 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને સૌથી લાંબા ફોર્મેટમાં કર્ણાટકની કેપ્ટનશિપ પણ કરી છે.





















