હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ દેવને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. તેઓ સાહસ, ઉર્જા અને શૌર્યના પ્રતીક છે. પરંતુ શું આપ જાણો છો કે ઉગ્ર સ્વભાવ ધરાવતા આ દેવતાનો જન્મ કેવી રીતે થયો? મંગળ દેવની ઉત્પત્તિની કથા જેટલી રહસ્યમય છે તેટલી જ રસપ્રદ પણ છે. તેમને 'ભૂમિપુત્ર' શા માટે કહેવામાં આવે છે તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે.
ભગવાન શિવના પરસેવામાંથી ઉત્પત્તિ
પૌરાણિક કથા અનુસાર અંધકાસુર નામના એક શક્તિશાળી દૈત્યએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી. ભોલેનાથે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે અસુર અંધકાસુરએ એવું વરદાન માંગ્યું કે તેના લોહીનું એક પણ ટીપું જ્યાં પડે ત્યાં તેના જેવા જ સેંકડો બળશાળી અસુરો પેદા થઈ જાય. શિવજીએ તેને આ વરદાન આપી દીધું જેના અહંકારમાં અંધકાસુરએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો.
મહાદેવનું ભીષણ યુદ્ધ અને મંગળનો જન્મ
સૃષ્ટિની રક્ષા માટે ભગવાન શિવ અને અંધકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું. આ યુદ્ધ એટલું તીવ્ર હતું કે મહાદેવના મસ્તક પર પરસેવાના ટીપાં વળી આવ્યા. જેવું શિવના પરસેવાનું ટીપું તપેલી ધરતી પર પડ્યું કે તરત જ પૃથ્વી બે ભાગમાં ફાટી ગઈ. આ અલૌકિક ઘટનામાંથી એક અત્યંત તેજસ્વી અને લાલ રંગના બાળકનો જન્મ થયો જેને આપણે મંગળ દેવના નામે ઓળખીએ છીએ.
રક્તનું પાન અને 'ભૂમિપુત્ર'ની ઉપાધિ
જ્યારે મહાદેવે અંધકાસુર પર પ્રહાર કર્યો ત્યારે મંગળ દેવે પોતાની અદભૂત શક્તિનો પરિચય આપ્યો. તેમણે અસુરના શરીરમાંથી પડતા લોહીના એક-એક ટીપાને ધરતી પર પડતા પહેલા જ પોતાનામાં સમાવી લીધું. આ કારણે કોઈ નવો અસુર પેદા થઈ શક્યો નહીં અને અંધકાસુરનો અંત શક્ય બન્યો. મંગળનો જન્મ ધરતી ફાટવાથી થયો હોવાથી અને તેમણે અસુરના રક્તને શોષીને પૃથ્વીની રક્ષા કરી હોવાથી તેમને 'ભૂમિપુત્ર' અથવા 'ભૌમ' કહેવામાં આવે છે.




















