બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી હવે સાધુ બની ગઈ છે. તે હવે અભિનેત્રી નહીં પણ મહામંડલેશ્વર કહેવાશે. માત્ર મહાકુંભ માટે 25 વર્ષ બાદ મમતા ભારત પરત ફરી અને મહાકુંભના મેળામાં તે જોવા મળી. કપાળ પર ચંદન, ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભા પર થેલો લઈને તે કિન્નર અખાડામાં પહોંચી હતી. ત્યાં આચાર્ય મહામંડલેશ્વર ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત કરી. મળતી માહિતી અનુસાર તે પટ્ટાભિષેક કરશે.
મમતા કુલકર્ણીએ ડિસેમ્બર 2024માં એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે તે 25 વર્ષ પછી ભારત પરત આવી છે. તે મુંબઈમાં છે. અગાઉ 2013 માં યોજાયેલા કુંભ મેળામાં ભાગ લીધો હતો અને બરાબર 12 વર્ષ પછી તે 2025ના મહાકુંભ માટે પરત ફર્યા છે. 'ક્રાંતિવીર', 'કરણ અર્જુન', 'સબસે બડા ખિલાડી', 'આંદોલન' અને 'બાઝી' જેવી ફિલ્મોમાં જોવા મળેલી આ અભિનેત્રી હવે સાધુ બની ગઈ છે.
મહામંડલેશ્વર બન્યા બાદ મમતા કુલકર્ણીનું નામ બદલાશે
કિન્નર અખાડાની અંદરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જ્યાં તેઓ મહાકુંભ અને ધર્મ અને આધ્યાત્મિકતા અંગે કલાકો સુધી વાત કરતા જોવા મળ્યા. તેમણે સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી પણ લગાવી. તેમણે કહ્યું કે અહીં આવવું મારૂ સૌભાગ્ય છે. મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બન્યા બાદ તેમનું નામ પણ બદલાશે. તે મમતા નંદ ગીરી તરીકે ઓળખાશે. તેમનું કહેવું છે તેમનો જન્મ ભગવાન માટે થયો છે.



















