Rajya Sabha Farewell Speech: સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની તીખી બોલાચાલી અને હોબાળાની વચ્ચે બુધવારે રાજ્યસભામાં જોરદાર હાસ્ય ગુંજી ઉઠ્યું હતું. તેનું કારણ હતું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એચ.ડી. દેવેગૌડા પર કરવામાં આવેલી ટિપ્પણી. સદનમાં ખડગે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા 37 સાંસદોને વિદાય આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા વિશે વાત કરી, જેમનો રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ખડગેએ જણાવ્યું કે દેવેગૌડા વડાપ્રધાન રહ્યા છે અને અન્ય ઘણા પદો પર પણ સેવા આપી છે.
ખડગેનો રમુજી અંદાજ
તેમણે હળવા અંદાજમાં કહ્યું, "હું દેવેગૌડાજીને ઘણા લાંબા સમયથી ઓળખું છું. હું તેમને 54 વર્ષથી જાણું છું અને તેમની સાથે કામ કર્યું છે. પરંતુ શું થયું તે મને ખબર નથી. **તેમણે પ્રેમ તો અમારી સાથે કર્યો, મોહબ્બત પણ અમારી સાથે કરી, પણ લગ્ન મોદી સાહેબ સાથે કરી લીધા. આ બધું તાજેતરમાં જ થયું છે." ખડગેની આ ટિપ્પણી બાદ આખું સદન હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યસભામાં હાજર હતા અને તેઓ પણ પોતાનું હસવું રોકી શક્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, 1996ની લોકસભા ચૂંટણી બાદ દેવેગૌડા એક વર્ષથી પણ ઓછા સમય માટે વડાપ્રધાન રહ્યા હતા, જેમાં કોંગ્રેસે તેમની સંયુક્ત મોરચાની સરકારને ટેકો આપ્યો હતો. ત્યારબાદ 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ દેવેગૌડાની જેડીએસ (JDS) પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને તેમના પુત્ર એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, 2019માં બળવાને કારણે સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ જેડીએસ ભાજપ સાથે જોડાઈ ગઈ હતી. ખડગેનો કટાક્ષ આ રાજકીય પલટા તરફ જ હતો.



















