જો તમે સારી નોકરીની શોધમાં છો અથવા લાંબા સમયથી પ્રમોશન અટવાયેલું છે તો આગામી મકર સંક્રાંતિ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રી અનીષ વ્યાસના જણાવ્યા અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિ પર ગ્રહોનો અદભૂત સંયોગ રચાવા જઈ રહ્યો છે. આ દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી ષટતિલા એકાદશીનો ખાસ સમન્વય જોવા મળશે જે આ તહેવારનું મહત્વ અનેકગણું વધારી દે છે.
ગ્રહોની ચાલની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યદેવ ધનુ રાશિનો ત્યાગ કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિના બીજા જ દિવસે મંગળ, શુક્ર અને બુધ પણ મકર રાશિમાં પ્રવેશતા હોવાથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ અત્યંત પ્રબળ સ્થિતિ ગણાય છે. આ પવિત્ર અવસરે નીચે મુજબના 3 કાર્યો કરવાથી વ્યાવસાયિક જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
1. તલયુક્ત જળથી સ્નાન
શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દિવસે પાણીમાં તલ ઉમેરીને સ્નાન કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. આ પ્રક્રિયાથી આર્થિક સંકટ દૂર થાય છે અને ઓફિસમાં તમારી ઉન્નતિના નવા માર્ગ પ્રશસ્ત થાય છે.
2. સૂર્યદેવની આરાધના અને અર્ઘ્ય
મકર સંક્રાંતિના પર્વ પર આદિત્ય પૂજનનું ખાસ મહત્વ છે. આ દિવસે તાંબાના પાત્રમાં પાણી લઈ તેમાં લાલ ચંદન, લાલ ફૂલ, કાળા તલ અને ગોળ મિશ્રિત કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. આ ઉપાય કરવાથી કાર્યસ્થળ પર તમારા માન સન્માનમાં વધારો થાય છે અને કેરિયરમાં સફળતાના શિખરો સર કરી શકાય છે.
3. રાશિમુજબ દાનનું મહત્વ
આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને કાળા તલ, લાલ મીઠાઈ, મગફળી, ધાબળા, લાલ વસ્ત્રો, ચોખા, મગની દાળની ખીચડી, ગોળ અને કાળી અડદની દાળનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દાનથી શનિ, રાહુ અને કેતુ તેમજ સૂર્ય ગ્રહની અનુકૂળતા મળે છે જેના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.





















