Israel-Iran War/New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ: ઈરાનમાં મોટી અસ્થિરતા ભારત પર ગંભીર અસરો પાડી શકે છે. ઈરાન ભારતનું એક મહત્વનું વ્યુહાત્મક અને આર્થિક ભાગીદાર રહ્યું છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જોકે ભારત અત્યારે સીધું ઈરાન પાસેથી તેલ નથી ખરીદતું, પરંતુ ઈરાન પરના હાલના હુમલા કે અસ્થિરતાને કારણે Strait of Hormuz પ્રભાવિત થશે.
દુનિયાના તેલ વેપારનો 20% હિસ્સો આ રસ્તેથી પસાર થાય છે. જો આ રસ્તો બંધ થાય, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ $100 થી $150 પ્રતિ બેરલ ને પાર કરી શકે છે. આ કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, ટ્રાન્સપોર્ટ મોંઘું થશે અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. ભારત અત્યારે રશિયા અને ઈરાક પાસેથી તેલ ખરીદે છે, પરંતુ ઈરાન સંકટને કારણે વૈશ્વિક સપ્લાય ખોરવાતા ભારતે મોંઘા ભાવે તેલ ખરીદવું પડશે.
ચાબહાર પોર્ટ અને કનેક્ટિવિટી :
ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે ઈરાનમાં ચાબહાર પોર્ટ વિકસાવવા માટે કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. જો ઈરાન બરબાદ થાય, તો ભારતનો આ "ગેટવે ટુ સેન્ટ્રલ એશિયા" નો પ્રોજેક્ટ જોખમમાં મુકાઈ શકે છે. પાકિસ્તાનને બાયપાસ કરીને વેપાર કરવાની ભારતની વ્યુહાત્મક ક્ષમતા ઘટી શકે છે.
ભારત, ઈરાન અને રશિયા મળીને આ એક મોટો ટ્રેડ રૂટ બનાવી રહ્યા છે જે યુરોપ સુધી જાય છે. ઈરાનમાં અસ્થિરતા આ પ્રોજેક્ટને વર્ષો પાછળ ધકેલી શકે છે. તેનું પરિણામ એ આવે કે ભારતની નિકાસને મોટો ફટકો પડે. આ ઉપરાંત, ગલ્ફ દેશો જેમ કે UAE, સાઉદી અરેબિયામાં લગભગ 90 લાખ જેટલા ભારતીયો વસે છે. જો ઈરાન અને તેના પાડોશી દેશો વચ્ચે ખરા અર્થમાં યુદ્ધ ફાટી નીકળે, તો અહીં રહેતા ભારતીયોની સુરક્ષા અને નોકરીઓ પર મોટું જોખમ ઊભું થશે. ખાડી દેશોમાંથી આવતું વિદેશી હૂંડિયામણ ઘટે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે મોટા ફટકા સમાન સાબિત થાય.
નિકાસ પર અસર:
ભારત ઈરાનને મોટા પ્રમાણમાં બાસમતી ચોખા, ચા, ખાંડ અને દવાઓની નિકાસ કરે છે. ઈરાનની આર્થિક પાયમાલીથી ભારતના નિકાસકારોને મોટું નુકસાન સહન કરવું પડે. હાલની તણાવપૂર્ણ સ્થિતિને કારણે ભારતની ચોખાની નિકાસ પહેલેથી જ પ્રભાવિત થઇ છે.
ખેતી પર અસર :
ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં યુરિયા અને અન્ય ખાતરોની આયાત કરે છે. જો સપ્લાય અટકે, તો ભારતીય ખેડૂતોને ખાતરની અછત વર્તાઈ શકે છે અને ખેતીના ખર્ચમાં વધારો થઈ શકે છે.
એટલે ઈરાનની સ્થિરતા ભારત માટે માત્ર વેપાર માટે જ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક મજબૂતી માટે પણ અનિવાર્ય છે. કોઈપણ પ્રકારનું યુદ્ધ ભારતના આયાત બિલમાં અબજો ડોલરનો વધારો કરી શકે છે.




















