Home National Mahila Anamat Bill Modi Sansad Navi Itihas

મહિલા અનામત બિલ પર PM મોદીની મોટી જાહેરાત : હવે નારી શક્તિને મળશે નવું આકાશ, જાણો શું છે આગામી આયોજન

PM Narendra Modi
Published by: Aryan Shah
Last Updated: Apr 13, 2026, 07:02 AM IST

Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં 'નારી શક્તિ વંદન સંમેલન' દરમિયાન દેશની મહિલાઓને સંબોધતા એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતની સંસદ એક એવો ઇતિહાસ રચવા જઈ રહી છે, જે આગામી સદીઓ સુધી મહિલાઓના સશક્તિકરણનો પાયો નાખશે. PM મોદીએ આ નિર્ણયને 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક ગણાવ્યો છે.

મહિલા શક્તિ માટે સમર્પિત 21મી સદી

પીએમ મોદીએ ખૂબ જ જવાબદારી સાથે જણાવ્યું કે, આ સમય મહિલા શક્તિની પૂજા અને તેમના સપનાઓને નવી પાંખો આપવાનો છે. તેમણે ઉમેર્યું કે, "આ એક એવો નવો ઇતિહાસ હશે જે ભૂતકાળના દ્રષ્ટિકોણોને સાકાર કરશે અને ભવિષ્યના સંકલ્પોને પૂર્ણ કરશે." સરકારનો લક્ષ્ય એક એવું સમાનતાવાદી ભારત બનાવવાનો છે જ્યાં સામાજિક ન્યાય માત્ર કાગળ પર કે સૂત્રોમાં ન રહે, પરંતુ આપણી કાર્ય સંસ્કૃતિનો ભાગ બને.

40 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત

મહિલા અનામત બિલનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને યાદ અપાવ્યું કે, લોકશાહી માળખામાં આ સુધારાની જરૂરિયાત છેલ્લા ચાર દાયકાથી અનુભવાઈ રહી હતી. લગભગ 40 વર્ષ સુધી આ વિષય પર ચર્ચાઓ ચાલી, અનેક પેઢીઓએ પ્રયાસો કર્યા. વર્ષ 2023 માં જ્યારે આ કાયદો રજૂ થયો, ત્યારે તમામ પક્ષોએ એકમતે તેને પસાર કર્યો હતો. હવે સમય આવી ગયો છે કે, 2029 સુધીમાં તેને સંપૂર્ણ રીતે લાગુ કરવાની દિશામાં મક્કમ કદમ ઉઠાવવામાં આવે.

16 થી 18 એપ્રિલ : સંસદનું વિશેષ સત્ર

રાજ્ય વિધાનસભાઓથી લઈને દેશની સંસદ સુધી મહિલાઓની હિસ્સેદારી સુનિશ્ચિત કરવા માટે 16, 17 અને 18 એપ્રિલના દિવસો અત્યંત મહત્વના બની રહેશે. આ બિલને અંતિમ ઓપ આપવા અને જરૂરી સુધારા પસાર કરવા માટે 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં બેઠકોના સીમાંકન અને મહિલાઓ માટેની અનામત બેઠકો પર અંતિમ મહોર લાગવાની શક્યતા છે.

વર્તમાન સ્થિતિ અને પરિવર્તનની જરૂરિયાત

હાલમાં સંસદમાં મહિલાઓની ભાગીદારી મર્યાદિત છે:

લોકસભા : 541 સભ્યોમાંથી માત્ર 74 મહિલાઓ (13.9%).

રાજ્યસભા : 242 સભ્યોમાંથી 41 મહિલાઓ (16.9%).

નવા સુધારા મુજબ, સીમાંકન બાદ લોકસભાની બેઠકો 543 થી વધીને 816 થઈ શકે છે, જેનાથી મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાનું કામ સરળ બનશે.

આ પણ ખાસ વાંચો : મહિલા આરક્ષણ મુદ્દે PM મોદીનો માસ્ટરસ્ટ્રોક : સાંસદોને ભાવુક પત્ર લખી સમર્થન માંગ્યું, ખડગેએ ઉઠાવ્યા આકરા સવાલો

સામાજિક ન્યાય હવે કાર્ય સંસ્કૃતિ બનશે

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, તેઓ અહીં કોઈને ઉપદેશ આપવા નહીં, પરંતુ દેશના ખૂણે ખૂણેથી આવેલી મહિલાઓના આશીર્વાદ લેવા આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓનો સ્વાભાવિક ભાગ હશે, ત્યારે જ દેશ સાચા અર્થમાં સામાજિક ન્યાય તરફ આગળ વધશે. આ અધિનિયમ હેઠળ SC/ST અનામત યથાવત રહેશે, જે પછાત અને વંચિત વર્ગોની મહિલાઓને પણ મુખ્યધારામાં લાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now