જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી એક હોસ્ટેલમાં રહેતી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્ટેલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
મળતી માહિતી મુજબ સગીરા ખંભાળિયા તાલુકાની વતની હતી અને ધ્રોલમાં આવેલી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. પરંતુ ત્યારબાદ ગઈકાલે હોસ્ટેલના સંચાલકો દ્વારા પરિવારજનોને ફોન કરી સગીરાએ આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપવામાં આવી હતી, જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તે હોળીનો તહેવાર ઉજવવા માટે પોતાના ઘરે ગઈ હતી.પરિવારજનોના જણાવ્યા અનુસાર સગીરાએ અગાઉ હોસ્ટેલમાં થતી કેટલીક પરેશાનીઓ અંગે પોતાના વાલીઓને ફરિયાદ કરી હતી. જોકે અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે વાલીઓએ તે સમયે આ ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી.
આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્ટેલના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સગીરાને ન્યાય મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



















