ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાવસ્યના પર્વ પર અમૃત સ્નાન માટે કરોડો લોકો પહોંચ્યા હતા પરંતુ અચાનક જ મોડી રાત્રે જોરદાર નાસભાગ થવાના કારણે 10થી વધુ લોકોના મોતની આશંકા છે. પ્રયાગરાજમાં ભારે ભીડ વચ્ચે ફાટી નીકળેલી આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ અકસ્માત બીજા અમૃત સ્નાન મૌની અમાવસ્યા પહેલા થયો હતો.
આ આખી ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસભાગની ઘટના અને બચાવ કામગીરી પર ચાંપતી નજર રાખી છે. બે કલાકમાં પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ચાર વખત વાત કરી છે. ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અગાઉ અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે અખાડા પરિષદે કહ્યું છે કે ભીડ વિખેરાઈ ગયા બાદ અખાડાઓ સ્નાન કરવા જશે.
લોકોને સંગમ વિસ્તારમાંથી બહાર લઈ જવા માટે બેરિકેડિંગ હટાવી દેવામાં આવ્યા છે. જો કે હજુ પણ સંગમ કાંઠે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. નાસભાગ બાદ પણ લોકો કોઈક રીતે સંગમ કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઋષિ-મુનિઓ લોકોને સંગમ કિનારે ન જવાની અપીલ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 20 કરોડ લોકોએ સંગમાંડૂબકી લગાવી છે. આજે એટલે કે બુધવારે મૌની અમાવસ્યા પર 10 કરોડથી વધુ ભક્તો આવવાની શક્યતા છે.




















