લોહગઢ મર્ડર કેસમાં સૌથી મોટો રિકન્સ્ટ્રક્શન
સિયા-ચેતન સામે રીક્રિએટ કરાવાયો ક્રાઇમ સીન
ડમીને કિલ્લાની દીવાલ પરથી ફેંકી કરાઇ તપાસ
Ketan Agarwal Murder Case: મહારાષ્ટ્રના ચર્ચાસ્પદ લોહગઢ કિલ્લા મર્ડર કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે રવિવારે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. પુણે પોલીસે આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈ જઈ કથિત હત્યાનો સમગ્ર ઘટનાક્રમ ફરીથી રીક્રિએટ કર્યો. તપાસ અધિકારીઓએ ડમીનો ઉપયોગ કરીને કેતન અગ્રવાલને કથિત રીતે ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો તે દૃશ્યને ફરી રજૂ કર્યું.
માહિતી અનુસાર, પોલીસ વહેલી સવારે લગભગ 6:30 વાગ્યે સિયા ગોયલને કડક સુરક્ષા વચ્ચે લોહગઢ કિલ્લા પર લઈ પહોંચી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે ચેતન ચૌધરીને પણ લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કિલ્લાની દીવાલ પરથી એક ડમીને નીચે ફેંકીને પોલીસએ ઘટનાના સંજોગો, અંતર, દિશા અને શક્ય ઘટનાક્રમનું મૂલ્યાંકન કર્યું.
તપાસમાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે રિકન્સ્ટ્રક્શન
પોલીસના જણાવ્યા અનુસાર, 18 જૂને બનેલી ઘટનામાં કેતન અગ્રવાલનું મોત કેવી રીતે થયું અને તે સમયે બંને આરોપીઓની ભૂમિકા શું હતી તે સ્પષ્ટ કરવા માટે આ ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટનાના દરેક તબક્કાને આરોપીઓ પાસેથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેથી અગાઉ એકત્ર કરાયેલા પુરાવા અને આરોપીઓના નિવેદનો વચ્ચે કોઈ વિસંગતતા હોય તો તે સામે આવી શકે. તપાસ અધિકારીઓનું માનવું છે કે ક્રાઇમ સીનનું પુનઃનિર્માણ કેસમાં મહત્વપૂર્ણ પુરવાર થઈ શકે છે. ફોરેન્સિક અને ટેકનિકલ ટીમોએ પણ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની થિયરીથી હત્યાની તપાસ સુધી
18 જૂને લોહગઢ કિલ્લા પર થયેલી આ ઘટના શરૂઆતમાં અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જોકે, બાદમાં પોલીસ તપાસમાં મળેલા ટેકનિકલ પુરાવા, મોબાઇલ ફોનની વિગતો, કોલ રેકોર્ડ્સ અને અન્ય માહિતીના આધારે કેસે નવો વળાંક લીધો. ત્યારબાદ પોલીસે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે આ ઘટના પૂર્વનિયોજિત ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. જોકે, આ આરોપો હાલમાં તપાસના તબક્કામાં છે અને અદાલતમાં સાબિત થવાના બાકી છે. બંને આરોપીઓ સામેની કાનૂની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચોઃ Ketan Agarwal Case સિયા અને ચેતનની લવ સ્ટોરીનું ક્રિકેટ કનેક્શન! : સોશિયલ મીડિયા નહીં, ક્રિકેટના મેદાનમાં થઈ હતી બંનેની ઓળખાણ
ફોરેન્સિક પુરાવા પર રહેશે તપાસનો ભાર
કાયદાકીય નિષ્ણાતોના મતે, હત્યાના કેસોમાં ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન તપાસનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. તેનાથી તપાસ એજન્સીને ઘટનાક્રમ સમજવામાં મદદ મળે છે અને આરોપીઓના નિવેદનોની ચકાસણી પણ થઈ શકે છે. જો રિકન્સ્ટ્રક્શન દરમિયાન મળેલી વિગતો અન્ય પુરાવાઓ સાથે મેળ ખાતી હોય તો તે તપાસને વધુ મજબૂત બનાવી શકે છે. રિક્રસ્ટ્રકશન દરમિયાન કેતનને ધક્કો માર્યો હોવાની થિયરી પર તપાસ કરવામાં આવી. જેમાં કેતનના સ્થાને લોહગઢ કિલ્લાની દીવાલ પરથી એક ડમીને ધક્કો મારવામાં આવ્યો. એવી માહિતી પણ સામે આવી છેકે, જેવી ડમી કિલ્લા પરથી નીચે ફેંકવામાં આવી બન્ને આરોપીઓ સિયા અને ચેતનના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. બન્નેના ચહેરા પર ભય દેખાતો હતો અને પરસેવો છૂટી ગયો હતો. સાથે જ આ પ્રકારની તપાસના કારણે ફોરેન્સિક તપાસમાં પણ ઘણાં ખુલાસા થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ મોહર્રમ પર 15 હજાર લોકોને ઝેરી દવા આપવાનો હતો પ્લાન! : કોણ છે ફૈયાજ પ્રેમજી? જેના નાપાક ઇરાદા સફળ થાત તો હચમચી જાત આખું મુંબઇ
આ કેસમાં હવે પોલીસ ફોરેન્સિક રિપોર્ટ, ડિજિટલ પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શનના આધારે ચાર્જશીટ તૈયાર કરવાની પ્રક્રિયા આગળ વધારી રહી છે. લોહગઢ કિલ્લા મર્ડર કેસ હાલમાં મહારાષ્ટ્રના સૌથી ચર્ચિત ગુનાકીય કેસોમાંનો એક બની ગયો છે. પોલીસ તપાસ આગળ વધતાં હજુ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે, જ્યારે આ કેસમાં અંતિમ નિર્ણય અદાલત દ્વારા ઉપલબ્ધ પુરાવાના આધારે લેવામાં આવશે.





