માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર એક મોટી દુર્ઘટના ઘટી છે. ભૂસ્ખલનના કારણે 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે યાત્રા આગામી આદેશો સુધી બંધ કરવામાં આવી હતી. ઉપરાંત ભારતીય હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદને કારણે, ઉત્તર રેલ્વેએ બુધવારે 22 ટ્રેનો રદ કરી અને 27 ટ્રેનોને ટૂંકાવી દીધી. આમાં વૈષ્ણો દેવી બેઝ કેમ્પથી ચાલતી 9 ટ્રેનોનો સમાવેશ થાય છે.
બચાવ કાર્ય તેજ ગતિએ
રિપોર્ટ્સ અનુસાર અર્ધકુમારી સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટના બપોરે 3 વાગ્યે બની હતી. ખાસ વાત એ છે કે યાત્રા સવારે જ બંધ કરવામાં આવી હતી, પરંતુ તે જૂના રૂટ પર બપોરે 1:30 વાગ્યા સુધી ચાલુ રહી. જોકે, બાદમાં ખરાબ હવામાનને કારણે તેને પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી જમ્મુમાં સતત વરસાદ પડી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ટેકરી પર સ્થિત મંદિર તરફ જતા 12 કિમીના વળાંકવાળા માર્ગ પર લગભગ અડધા ભાગમાં બની હતી.
જમ્મુમાં પરિસ્થિતિ ગંભીર!
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારે વરસાદ બાદ જમ્મુના વિવિધ ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વહીવટીતંત્રને હાઇ એલર્ટનો નિર્દેશ આપ્યો છે. જમ્મુમાં ભારે વરસાદને કારણે પાંચ લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ ઘરો અને પુલોને નુકસાન થયું છે. જમ્મુમાં લગભગ તમામ જળાશયો ભયના નિશાનથી ઉપર વહી રહ્યા છે, જેના કારણે શહેર અને અન્ય સ્થળોએ ઘણા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ડૂબી ગયા છે.
રસ્તાઓેને ભારે નુકાસાન
અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર અને કિશ્તવાડ-ડોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે, જ્યારે ભૂસ્ખલન અથવા અચાનક પૂરને કારણે ડઝનબંધ પહાડી રસ્તાઓ અવરોધિત અથવા નુકસાન પામ્યા છે.





















