IPL 2026 : IPL 2026 ની સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા પહેલાથી જ ઈજાને કારણે બહાર થયા બાદ હવે શ્રીલંકાના ઘાતક ફાસ્ટ બોલર મથેશા પથિરાણા પણ શરૂઆતની મેચો રમી શકશે નહીં. આ સમાચારથી KKR ના ફેન્સ અને મેનેજમેન્ટ બંનેમાં ચિંતા જોવા મળી રહી છે.
પથિરાણા ક્યારે ટીમમાં જોડાશે?
KKR ના હેડ કોચ અભિષેક નાયરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પથિરાણા હાલમાં ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે. તે એપ્રિલ મહિનાના મધ્ય સુધીમાં સંપૂર્ણ ફિટ થઈ જાય તેવી શક્યતા છે. આનો અર્થ એ થયો કે, સિઝનની શરૂઆતની કેટલીક મહત્વની મેચોમાં KKR એ તેમના મુખ્ય ફાસ્ટ બોલર વગર મેદાનમાં રમવા ઉતરવું પડશે. પથિરાણા અત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની દેખરેખ હેઠળ રિહેબમાં છે.
KKR માટે મોટું નુકસાન
મથેશા પથિરાણા KKR માટે ખૂબ જ મહત્વનો ખેલાડી છે. ઓક્શનમાં KKR એ પથિરાણાને 18 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હર્ષિત રાણા પહેલાથી જ બહાર છે, તેવામાં પથિરાણાની ગેરહાજરી ટીમની ફાસ્ટ બોલિંગ લાઇન-અપને નબળી બનાવી દીધી છે. ખાસ કરીને ડેથ ઓવર્સમાં પથિરાણાની ખોટ ટીમ પર ભારે પડી શકે તેમ છે.
હર્ષિત રાણાની સ્થિતિ
ટીમના અન્ય ફાસ્ટ બોલર હર્ષિત રાણા વિશે વાત કરતાં અભિષેક નાયરે કહ્યું કે, તે હાલમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. તેમની ઈજા કેટલી ગંભીર છે તેની સ્પષ્ટ વિગતો હજુ સામે આવી નથી. જોકે, ટીમ મેનેજમેન્ટ ટૂંક સમયમાં તેમના વિકલ્પ (રિપ્લેસમેન્ટ) ની જાહેરાત કરી શકે છે, જેથી ટીમનું કોમ્બિનેશન જળવાયેલું રહે.
વૈકલ્પિક ખેલાડીઓની તૈયારી
ટીમ હાલમાં અન્ય વિકલ્પો પર કામ કરી રહી છે. અત્યારે નવદીપ સૈની, સિમરજીત સિંહ અને કેએમ આસિફ જેવા બોલરો ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ મેચોમાં આ ખેલાડીઓના પ્રદર્શનના આધારે પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન આપવું તેનો નિર્ણય લેવામાં આવશે. KKR માટે હવે સૌથી મોટો પડકાર પથિરાણા અને હર્ષિત રાણાની ગેરહાજરીમાં મજબૂત બોલિંગ એટેક તૈયાર કરવાનો રહેશે.




















