Venkatesh Iyer: IPL 2024માં પોતાના શાનદાર પ્રદર્શનથી કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર વેંકટેશ અય્યર થોડા સમયમાં ડોક્ટર બનવા જઈ રહ્યો છે. વેંકટેશને તાજેતરમાં આઈપીએલની હરાજીમાં રૂ. 23.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, જેનાથી તે ચોથો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. 29 વર્ષીય ઓલરાઉન્ડરે સમજાવ્યું કે શા માટે ભારતીય જર્સી પહેરવી તેના માટે મહત્વપૂર્ણ છે અને શા માટે ખેલાડીઓ માટે અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે.
હું ફાયનાન્સ પીએચડી કરી રહ્યો છું: ઐયર
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'હું ફાયનાન્સમાં પીએચડી કરી રહ્યો છું. નેક્સ્ટ ટાઈમ તમે ડો. વેંકટેશ ઐયર તરીકે મારું ઈન્ટરવ્યુ કરશો. શિક્ષણ હંમેશા તમારી સાથે રહે છે. એક ક્રિકેટર 60 વર્ષની ઉંમર સુધી રમી શકતો નથી. શિક્ષિત થવાથી તમારા નિર્ણય લેવામાં પણ મદદ મળે છે. હું ઈચ્છું છું કે, ક્રિકેટર માત્ર ક્રિકેટનું જ્ઞાન જ નહીં પરંતુ સામાન્ય જ્ઞાન પણ શીખે. જો તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકતા હોવ તો તમારે ચોક્કસ કરવું જોઈએ.
વેંકટેશ પર KKRએ રૂ. 23.75 કરોડની બોલી લગાવી હતી
કોલકાતા નાઈટ રાઈડર્સે મેગા ઓક્શન પહેલા આ ઓલરાઉન્ડરને રિલીઝ કર્યો હતો. જો કે, મેગા ઓક્શનમાં તેને ખરીદવા માટે KKR અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, અંતે KKRના મેનેજિંગ ડિરેક્ટર વેંકી મૈસૂર તેના પર વિજેતા બોલી લગાવવામાં સફળ રહ્યા હતા. અય્યરે આ વર્ષે આઈપીએલમાં પોતાની ટીમને ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને લગભગ 160ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
KKRનો કેપ્ટન બની શકે છે અય્યર
આ વખતે મેગા ઓક્શનમાં તેને લગભગ 24 કરોડ રૂપિયા મળ્યા. આવી સ્થિતિમાં ટીમ તેને IPL 2025માં કેપ્ટન પણ બનાવી શકે છે. આટલું જ નહીં, 2026માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેના પર બાજ નજર રાખશે.





















