મૃગીકુંડ ખાતે યોજાતા જૂનાગઢ મહાશિવરાત્રિ મેળો દરમિયાન કીર્તિ પટેલના સ્નાનને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. મેળા દરમિયાન અઘોરી સંતો સાથે અગાઉથી વિવાદિત રહેલી કીર્તિ પટેલ ભગવો વસ્ત્ર ધારણ કરીને શાહી સ્નાન કરવા મૃગીકુંડ પહોંચી હતી. તેમના આગમન સાથે જ સ્થળ પર હાજર સંતો અને સાધુઓમાં અસંતોષ જોવા મળ્યો હતો.
કીર્તિ પટેલ મૃગીકુંડમાં ઉતરી સ્નાન કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો
દરવાજા પાસે મોટી સંખ્યામાં સંતો હાજર હતા અને તેમણે જ સમગ્ર મામલે ધ્યાન દોર્યું હતું. કીર્તિ પટેલ મૃગીકુંડમાં ઉતરી સ્નાન કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બે મહિલા પીએસઆઈ સહિત મહિલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તેમને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમે મેળામાં ચર્ચા અને તણાવનું વાતાવરણ ઊભું કર્યું હતું.
'હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ'
સ્નાન બાદ કીર્તિ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, “હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ.” તેમના આ નિવેદન બાદ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો હતો.આ મામલે જુનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે અગ્રણી સંતો સાથે ચર્ચા કરવામાં આવશે અને શું નિયમો છે તથા અન્ય કોઈ વ્યક્તિ સ્નાન કરી શકે કે કેમ તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવશે. ત્યારબાદ જ કીર્તિ પટેલ સામે કોઈ કાર્યવાહી કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર મામલે અગ્રણી સાધુ-સંતો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાશે. આ રીતે મહાશિવરાત્રિના પાવન અવસરે મૃગીકુંડમાં થયેલી આ ઘટના મેળાના માહોલમાં વિવાદનું કારણ બની હતી.




















