Khandwa Temple: આજે દેશભરમાં ચંદ્રગ્રહણને લઈને ભારે જિજ્ઞાસા અને ધાર્મિક સાવચેતીનો માહોલ છે. જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન મંદિરોમાં દર્શન અને પૂજા વિધિ બંધ રાખવામાં આવે છે, પરંતુ મધ્યપ્રદેશના ખંડવામાં આવેલું 'અવધૂત સંત દાદાજી ધુનીવાલે' મંદિર આ બાબતે અપવાદ છે. સામાન્ય રીતે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ દરમિયાન દેશભરના નાના-મોટા તમામ મંદિરો અને શક્તિપીઠોના કપાટ બંધ કરી દેવામાં આવતા હોય છે. સનાતન ધર્મમાં ગ્રહણના સમયને અશુભ માની પૂજા-પાઠ પર રોક હોય છે, પરંતુ મધ્યપ્રદેશમાં એક એવું ધામ છે જ્યાં દાદાજીની ભક્તિ આગળ ગ્રહણ પણ વામણું સાબિત થાય છે. અહીં ગ્રહણકાળમાં પણ આરતી, પૂજા અને દર્શનનો ક્રમ અવિરત ચાલુ રહે છે. અહીં ગ્રહણની કોઈ જ અસર થતી નથી અને ભક્તો કોઈપણ રોકટોક વગર દાદાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
દાદાજીના દરબારમાં ગ્રહણ કેમ નથી નડતું?
શ્રી દાદાજી મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. શ્રી હરિહર ભોલે ભગવાન (છોટે દાદાજી) ના સમયથી સ્થાપિત કરવામાં આવેલા નિયમો આજે પણ પાળવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના સમયમાં લખાયેલા પુસ્તક "કેશવ વિનય" માં દાદાજી મહારાજને તમામ દેવી-દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવ્યા છે. જ્યારે પરમાત્મા પોતે બિરાજમાન હોય, ત્યારે સૂર્ય, ચંદ્ર કે નવ ગ્રહોની અસરો તેમને સ્પર્શી શકતી નથી તેવી ગાઢ શ્રદ્ધા સેવકોમાં રહેલી છે.
સૂતક કાળમાં પણ પૂજા-અભિષેક અવિરત
જ્યાં અન્ય મંદિરોમાં ગ્રહણના કલાકો પહેલા સૂતક લાગી જાય છે, ત્યાં દાદાજી ધુનીવાલેના મંદિરમાં સેવકો દ્વારા નિયમિતપણે શ્રી કેશવાનંદ જી મહારાજ (બડે દાદાજી) અને શ્રી હરિહરાનંદ જી મહારાજ (છોટે દાદાજી) ની સમાધિઓ પર માલિશ, સ્નાન, શણગાર અને મહાઆરતી કરવામાં આવે છે. ગ્રહણ દરમિયાન પણ મંદિરમાં હવન અને ભોગ ભંડારો ચાલુ રહે છે, જે આખા વિશ્વમાં એક વિરલ ઘટના સમાન છે.
ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર
ખંડવાનું આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ, પરમાત્મા પોતે ગ્રહોના નિયંત્રણથી પર છે, તેથી જ અહીં દર્શન ક્યારેય બંધ કરવામાં આવતા નથી. આજની ખગોળીય ઘટના દરમિયાન પણ જ્યારે આખા દેશના મંદિરોમાં સન્નાટો હશે, ત્યારે દાદાજીના દરબારમાં 'ધૂની' ધખતી હશે અને મંત્રોચ્ચાર ગુંજતા રહેશે.



















