Ahmedabad News: છેલ્લા 8 વર્ષથી મહારાષ્ટ્રના નાગપુરમાંથી ગુમ થયેલા એક ઇસમને અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. આ માનવતાભર્યું કાર્ય પોલીસ દ્વારા પ્રશંસનીય માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-1) ની માર્ગદર્શન હેઠળ ખાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ફરજ દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં ફરતા વ્યક્તિને શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન તેની ઓળખ મહેશ છગનલાલ છાજવટ (ઉ.વ. 45) તરીકે થઈ હતી.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે મહેશ છાજવટ મૂળ મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી છે અને છેલ્લા લગભગ ૮ વર્ષથી પોતાના પરિવારથી અલગ પડી ગયા હતા. ખાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહેનતપૂર્વક તપાસ કરી તેમના પરિવારનો સંપર્ક શોધી કાઢ્યો અને મહારાષ્ટ્ર પોલીસ સાથે સંપર્ક કરી માહિતી ચકાસી.
પોલીસે મળેલ મોબાઈલ નંબર દ્વારા પરિવારજનો સાથે વાતચીત કરી તેમને અમદાવાદ બોલાવ્યા હતા. પરિવારજનોએ અમદાવાદ આવી મહેશ છાજવટની ઓળખ કરી, ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી તેમને પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. 8 વર્ષ બાદ પોતાના સ્વજનને ફરી મળતા પરિવારજનો ભાવુક બની ગયા હતા અને ખાડિયા પોલીસના આ માનવતાભર્યા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.




















