IFFI Best Debut Director Award: ગોવામાં યોજાયેલા 56 માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI 2025)ના સમાપન સમારોહમાં અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'Kesari Chapter 2' એ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મના દિગ્દર્શક કરણ સિંહ ત્યાગીને “શ્રેષ્ઠ નવોદિત ભારતીય ફીચર ફિલ્મ દિગ્દર્શક” (Best Debut Director of an Indian Feature Film) નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
સી. શંકરન નાયરની સાચી વાર્તા પર આધારિત
28 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલા સમારોહમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગનના હસ્તે કરણ સિંહ ત્યાગીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના પરિપ્રેક્ષ્યમાં બનેલી આ ફિલ્મ વાસ્તવિક નાયક સી. શંકરન નાયરની સાચી વાર્તા પર આધારિત છે. બ્રિટિશ સામ્રાજ્ય સામે કોર્ટરૂમમાં લડનાર આ સિદ્ધાંતવાદી બેરિસ્ટરની હિંમત અને ન્યાય માટેની લડતને ફિલ્મમાં અસરકારક રીતે દર્શાવવામાં આવી છે.
દર્શકો તેમજ સમીક્ષકો તરફથી ભારે પ્રશંસા
ફિલ્મમાં આર. માધવન અને અનન્યા પાંડે પણ મહત્વની ભૂમિકામાં છે. જ્યુરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ફિલ્મ ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહત્વના ક્ષણોને અત્યંત કલાત્મક અને સુસંગત રીતે રજૂ કરે છે. તેનું મજબૂત સિનેમેટિક મૂલ્ય, ઐતિહાસિક ચોકસાઈ અને દ્રશ્ય શ્રેષ્ઠતા આ એવોર્ડને સંપૂર્ણપણે લાયક બનાવે છે.” આ વર્ષે 18 એપ્રિલે રિલીઝ થયેલી 'Kesari Chapter 2' ને દર્શકો તેમજ સમીક્ષકો તરફથી ભારે પ્રશંસા મળી છે.
ભારતીય સિનેમાના નવા દિગ્દર્શકો માટે પ્રેરણારૂપ
2019 માં આવેલા પ્રથમ ભાગ કેસરી (સરાગઢીના યુદ્ધ પર આધારિત) પછી આ બીજો ભાગ પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી ચૂક્યો છે. કરણ સિંહ ત્યાગીની આ સફળતા ભારતીય સિનેમાના નવા દિગ્દર્શકો માટે પ્રેરણારૂપ છે. IFFI જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ઐતિહાસિક ફિલ્મને મળેલી આ માન્યતા દેશના સિનેમા માટે ગૌરવની વાત છે.




















