બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર આવ્યા છે. તેઓ યુકેમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તેઓ પોલો રમી રહ્યા હતા તે જ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
સંજય કપૂર ઘોડા પોલો રમી રહ્યા હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઘોડા પરથી નીચે પડી ગયા. તેમને તબીબી સહાય આપવામાં આવી હતી પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં. તેઓ ઓટો કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. આશ્ચર્યજનક રીતે સંજયે થોડા કલાકો પહેલા જ અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
ગુરુવારે એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ કર્યાના થોડીવાર પછી ક્રેશ થયું હતું જેમાં 242 લોકો સવાર હતા. આ બાબતે શોક વ્યક્ત કરતા સંજય કપૂરે ટ્વિટર પર લખ્યું "અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના સમાચાર ભયાનક છે. મારી પ્રાર્થનાઓ બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છે. આ મુશ્કેલ સમયમાં તેમને હિંમત મળે."
કરિશ્મા કપૂર સાથે ક્યારે લગ્ન કર્યા?
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન વર્ષ 2003 માં થયા હતા. તેમનો સંબંધ લગભગ 13 વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે બંને 2016 માં એકબીજાથી અલગ થઈ ગયા. કરિશ્માથી અલગ થયા પછી સંજયે વર્ષ 2017 માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા.




















