Kankaria Carnival 2025: અમદાવાદનો સૌથી મોટો અને પ્રિય મહોત્સવ કાંકરિયા કાર્નિવલ 2025 આજથી શરૂ થઈ રહ્યો છે. 25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ સાત દિવસીય કાર્નિવલમાં રંગારંગ કાર્યક્રમો, સ્ટાર પર્ફોર્મન્સ અને નવા આકર્ષણો સાથે લાખો લોકોની ભીડ ઉમટવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઉદ્ઘાટન કરશે, જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ પણ પ્રથમ દિવસે થશે.
આજથી શરૂ થતો સાત દિવસીય મહોત્સવ અને ટ્રાફિક વ્યવસ્થા
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં લોક ડાયરા, લેઝર શો, હોર્સ શો સહિત અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન છે. સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમો ચાલશે, જ્યારે કાર્નિવલ વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. કાંકરિયા જતા છ રસ્તાઓને સવારે 8થી રાતના 1 વાગ્યા સુધી પ્રતિબંધિત કરાયા છે, અને કેટલાક વિસ્તારોમાં નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યુ-ટર્ન જાહેર કરાયા છે.
મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન અને અટલજીની જન્મજયંતિનું મહત્વ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર દર વર્ષે આ કાર્નિવલ યોજાય છે, અને આ વખતે વિશેષ આકર્ષણો જોવા મળશે.
પૂરતી તૈયારીઓ અને એડવાન્સ્ડ ક્રાઉડ મેનેજમેન્ટ
કાર્નિવલ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, અને એક લાખથી વધુ લોકોની ભીડની સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત એડવાન્સ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે. કાર્નિવલ માટે 5 હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે, જેનું પ્રીમિયમ 3.91 લાખ રૂપિયા છે.
મુખ્ય આકર્ષણો: ડ્રોન શો, પાયરો શો અને સ્ટાર પર્ફોર્મન્સ
આ વખતે ડ્રોન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને દુબઈ સ્ટાઈલ પાયરો શો (આગ સાથે ડાન્સ) મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પર્ફોર્મન્સ યોજાશે. સવારે 4થી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે.

ત્રણ સ્ટેજ પર વિવિધ કાર્યક્રમો અને અન્ય રાજ્યોના ફૂડ સ્ટોલ
ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. સ્ટેજ-1 પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ-2 બાલવાટિકા અને સ્ટેજ-3 વ્યાયામ વિદ્યાલય પાસે. સાતેય દિવસ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. અન્ય રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા છે.
'નો પાર્કિંગ ઝોન', 'નો સ્ટોપ' અને 'નો યુ-ટર્ન'
આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, જેને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને જનતાની સુરક્ષા જળવાય રહે તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાત દિવસ દરમિયાન કાંકરિયા અને તેની આસપાસના વિસ્તારોને 'નો પાર્કિંગ ઝોન', 'નો સ્ટોપ' અને 'નો યુ-ટર્ન' જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કાંકરીયા ચોકી ત્રણ રસ્તાથી રેલ્વે યાર્ડ, ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હૉસ્પિટલ, મચ્છી પીર ચાર રસ્તા, પુષ્પકુંજ સર્કલ, અપ્સરા સિનેમા, ફૂટબોલ ગ્રાઉન્ડ અને લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરીયા ચોકી સુધીના સમગ્ર સર્કલ રોડ પર કોઈપણ વાહન ઊભું રાખી શકાશે નહીં. ટુ-વ્હીલરથી ઉપરના તમામ વાહનો માટે આ માર્ગ પર થોભવાની મનાઈ છે. વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરી શકાશે. જ્યારે કાંકરિયા તળાવની ફરતે આવેલો સર્કલ રોડ ટુ-લેન હોવા છતાં, સુરક્ષાના કારણોસર કોઈપણ જગ્યાએથી યુ-ટર્ન લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય કાંકરિયા તરફ આવતા રસ્તા પર માલવાહક અને પેસેન્જર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

હેડ કાઉન્ટ કેમેરા અને લાઇવ મોનિટરિંગની વ્યવસ્થા
કાંકરિયાના સાતેય એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા પ્રવેશ અને હાજરીનું લાઇવ મોનિટરિંગ થશે.
સુરક્ષા માટે ટેક્નોલોજી અને વિશેષ વ્યવસ્થા
ભીડ નિયંત્રણ અને દુર્ઘટના ટાળવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.





















