પ્રખ્યાત પાન મસાલા બ્રાન્ડ કમલા પસંદ અને રાજશ્રી ગુટખાના માલિક કમલ કિશોર ચૌરસિયાના પરિવારમાં મોટા દુઃખનું કારણ બનેલી ઘટના મંગળવારે બની હતી. તેમના પુત્રની પત્ની દીપ્તિ ચૌરસિયા દિલ્હીના વસંત વિહાર સ્થિત નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસ અનુસાર, તેઓ છતના પંખાથી લટકેલી હાલતમાં મળી આવ્યા અને સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
કિઓસ્કથી શરૂ થયેલું પાન મસાલાનું સામ્રાજ્ય
કાનપુરના રહેવાસી કમલ કિશોર ચૌરસિયા 1980ના દાયકામાં ઘરેથી પાન મસાલા બનાવતા અને કિઓસ્ક પરથી છૂટક વેચાણ કરતા હતા. પરિવારના સભ્યોની મદદથી શરૂ થયેલો આ નાનકડો વ્યવસાય સમય જતાં દેશવ્યાપી ઓળખ મેળવવામાં સફળ રહ્યો. આજકાલ તેમની કંપનીની અનેક બ્રાન્ડ્સ બજારમાં મજબૂત હાજરી ધરાવે છે. અમિતાભ બચ્ચન, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ જેવી જાણીતી હસ્તીઓએ કમલા પસંદ માટે એન્ડોર્સમેન્ટ કર્યું છે.
વ્યવસાયનો વ્યાપ અનેક ક્ષેત્રોમાં
કમ્પની કેપી ગ્રુપ અંતર્ગત કાર્યરત છે. વર્ષ 2000 પછી કમલ કિશોરના વ્યવસાયે ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી. પાન મસાલા અને ગુટખા ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટ તેમજ લોખંડ-સ્ટીલ ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું છે. કાનપુરના નયાગંજ વિસ્તારમાં તેમની એક મુખ્ય ઓફિસ હાલ પણ કાર્યરત છે.
વિવાદો અને તપાસોની લાંબી યાદી
કંપની પર ઇકોનોમિક ઑફેન્સ વિંગ અને અન્ય તપાસ એજન્સીઓએ અનેક વખત દરોડા પાડ્યા છે. વિવિધ તપાસમાં ફેક્ટરીઓનું ઉત્પાદન જાહેર કરેલી આવકથી વધુ હોવાનું જણાયું હોવાનું સૂત્રો જણાવે છે. ક્યારેય કામદારોની સંખ્યા ઓછી દર્શાવવાનો આરોપ લાગ્યો તો ક્યારેક આશરે ₹150 કરોડની એક્સાઇઝ ડ્યુટી ચોરીના આક્ષેપો પણ સામે આવ્યા.
પાન મસાલા બજારનો વકરો અને કમલા પસંદનું સ્થાન
માર્કેટ રિપોર્ટ્સ મુજબ, ભારતમાં પાન મસાલા ઉદ્યોગનું મૂલ્ય 2024 સુધીમાં લગભગ ₹46,882 કરોડ સુધી પહોંચે તેવી ધારણા છે. 2033 સુધીમાં તે ₹64,446 કરોડ સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમલા પસંદનો અંદાજિત માર્કેટ કેપ લગભગ ₹3,000 કરોડ હોવાનું રિપોર્ટ્સ બતાવે છે. વર્ષ 2020માં કંપનીએ ₹500 કરોડથી વધુ ટેક્સ ભર્યો હોવાની માહિતી પણ બહાર આવી છે, જોકે કમલ કિશોરની વ્યક્તિગત નેટવર્થ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
દીપ્તિ ચૌરસિયાના આપઘાતને લઈને પરિવાર અને વેપાર જગતમાં શોકની લાગણી છે, જ્યારે પોલીસ આ દુઃખદ ઘટનાના કારણોનું નિરાકરણ લાવવા માટે તપાસ આગળ વધારી રહી છે.





















