ગાંધીનગર: આજના સમયમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી, પરંતુ સંસ્કાર, સંવેદના, જવાબદારી અને ચારિત્ર્યથી સમૃદ્ધ યુવાનોની સમાજને વધુ જરૂરિયાત છે. આ જ ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત 118મી પાંચ દિવસીય નિવાસી ‘સર્વ નેતૃત્વ’ તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. કડી સ્થિત સર્વ વિદ્યાલય કેમ્પસમાં યોજાયેલી આ શિબિરમાં સંસ્થાની વિવિધ 11 કોલેજોના કુલ 69 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શૈક્ષણિક વર્ષના પ્રથમ તબક્કામાં યોજાયેલી આ તાલીમ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાની સાથે જીવનમૂલ્યો, સામાજિક જવાબદારી અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ તાલીમ સત્રો, ચર્ચાઓ અને અનુભૂતિ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા જીવનને નવી દિશા આપતા અનુભવો મેળવ્યા.
વ્યક્તિત્વ વિકાસ સાથે મૂલ્યનિષ્ઠ જીવન પર ભાર
શિબિર દરમિયાન જાણીતા પ્રેરણાત્મક વક્તા દીપક તેરૈયા અને ઉમા તેરૈયા મુખ્ય ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આત્મચિંતન, આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારસરણી, મૂલ્યનિષ્ઠ જીવન, અસરકારક સંવાદ કૌશલ્ય, સંબંધોની સમજ અને જવાબદાર નેતૃત્વ જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ગ્રુપ એક્ટિવિટી, અનુભૂતિ આધારિત સત્રો અને જીવનના વાસ્તવિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક નહીં પરંતુ જીવનઘડતર માટે જરૂરી ગુણો વિકસાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓએ ટીમવર્ક, નિર્ણય ક્ષમતા, સમયનું આયોજન અને સામાજિક પ્રતિબદ્ધતા જેવા મુદ્દાઓ પર પણ પ્રાયોગિક અનુભવ મેળવ્યો.
યોગ અને ધ્યાન દ્વારા શારીરિક-માનસિક સંતુલન
શિબિરમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું હતું. દરરોજ વહેલી સવારે ડૉ. કપિલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોગ, પ્રાણાયામ, વિવિધ આસનો અને ધ્યાનના સત્રો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગના મહત્વને નજીકથી સમજવાનો અવસર મળ્યો હતો.
આયોજકોના જણાવ્યા મુજબ, નેતૃત્વ વિકાસ માટે માનસિક સ્થિરતા અને શારીરિક તંદુરસ્તી બંને જરૂરી હોવાથી તાલીમ કાર્યક્રમમાં યોગ અને ધ્યાનને અભિન્ન ભાગ બનાવવામાં આવ્યા હતા.
સમાપન સમારોહમાં સેવાભાવનો સંદેશ
શિબિરના સમાપન સમારોહમાં હેલ્પએજ ઇન્ડિયાના ગુજરાત પ્રાંતના હેડ નિલેશ નલવાયા, સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર આશિષ મેકવાન તેમજ સીનુસર અને પ્રિયંકાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નિલેશ નલવાયાએ પોતાના સંબોધનમાં યુવાનોને સફળતા કરતાં પણ જીવનમાં સાર્થકતાને વધુ મહત્વ આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જીવનમાં ટકવું હોય તો મૂળમાં ઉતરવું પડે." તેમણે યુવાનોને સારા વિચારો, માનવતા, સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવને જીવનનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.
વૃદ્ધાશ્રમની મુલાકાતથી સંવેદનાનો અનુભવ
શિબિરના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને હેલ્પએજ ઇન્ડિયાના Elder Line – 14567 કાર્યાલય તેમજ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ (વાનપ્રસ્થ સેવા સમાજ)ની મુલાકાત કરાવવામાં આવી હતી. વૃદ્ધજનો સાથે થયેલા સંવાદ અને તેમના જીવનના અનુભવો વિદ્યાર્થીઓ માટે ભાવનાત્મક અને પ્રેરણાદાયી રહ્યા હતા.
આ મુલાકાતનો મુખ્ય હેતુ યુવાનોમાં વડીલો પ્રત્યે સન્માન, સંવેદના, કરુણા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવવાનો હતો. વિદ્યાર્થીઓએ વૃદ્ધજનોના અનુભવોમાંથી જીવનના અનેક મૂલ્યવાન પાઠ શીખ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં નરાધમે 8 વર્ષની બાળકીને પીંખી નાખી! : 55 વર્ષીય હેવાન પર POCSO હેઠળ ગુનો
ટીમવર્કથી સફળ બન્યું આયોજન
આ સમગ્ર પાંચ દિવસીય તાલીમ શિબિરનું આયોજન અને સંચાલન ડો. ધર્મેન્દ્ર પટેલ, રાહુલ સુખડિયા અને ખુશાલી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત પૂર્વ તાલીમાર્થી દેવ, પ્રિન્સ, ઉર્વીશા અને નિકિતાએ ટીમસ્પિરિટ અને સમર્પણ સાથે આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પ્રકારની નેતૃત્વ શિબિરો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સામાજિક જાગૃતિ અને જવાબદાર નાગરિક તરીકે ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણની સાથે જીવનમૂલ્યો અને માનવતાનો સંદેશ આપતી આવી પહેલ યુવાનોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.






